Tasveer Today

કરૂણા

ઉત્તરીય યુરોપના થીજવી દેનારા શિયાળાથી બચવા માટે આફ્રિકા સ્થળાંતર કરતી વખતે ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓ સહિત જંગલી પક્ષીઓના જીવ બચાવે તેવી એક વિશેષ પશુચિકિત્સા હોસ્પિટલ પૂર્વીય હંગોરીમાં આવેલી છે.
ગ્રેટ હંગેરિયન મેદાન પર આવેલ વર્લ્ડ હેરિટેજ સાઈટ હાર્ટોબેગી રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલી હોસ્પિટલ બગલો, સારસ અને ગરૂડ જેવા પક્ષીઓની સારવાર કરે છે જેને વીજળીના તારમાં ફસાઈ જવાના કારણે પોતાના પગ અથવા પાંખમાં ઈજા થઈ હોય અથવા હાઈવે પર કોઈ વાહન સાથે તેમનો અકસ્માત સર્જાયો હોય.
મહાનત્તમ પયગમ્બર હ. મોહંમદ સાહેબ (સ.અ.વ.)ની પરંપરાઓ આપણને યાદ અપાવે છે કે અલ્લાહ દ્વારા નિર્મિત તમામ જીવોના સંરક્ષક તરીકે માનવીને આ પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે. પશુઓની દયા અને સહાનુભૂતિ સાથે સારવાર કરવી એ આપણી જવાબદારી છે. પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ના શબ્દો અને વર્તણૂક તે સ્પષ્ટ કરે છે કે રક્ષણવિહોણા જીવોના દુઃખ અને પીડાનું કારણ બનવું એ ફક્ત અસ્વીકાર્ય જ નથી પરંતુ આવી પ્રવૃત્તિઓ માટે આપણે પણ અલ્લાહને જવાબ આપવો પડશે.
એક જંગમાંથી પરત ફરતી વખતે કેટલાક સાથીઓએ પક્ષીના બચ્ચાંઓને પંપાળવા, રમાડવા માટે માળામાંથી ઉઠાવી લીધા. જ્યારે બચ્ચાંઓની માતાને માળામાં બચ્ચાં ના મળ્યા ત્યારે વિહવળ થઈ ગયેલી માતા બચ્ચાંઓને શોધવા માટે આમતેમ ઉડાઉડ કરવા લાગી જ્યારે અલ્લાહના પયગમ્બર (સ.અ.વ.)ને આ અંગે જાણ થઈ ત્યારે તેઓ નારાજ થઈ ગયા અને તેમણે બચ્ચાંઓને માળામાં પાછા મૂકવાનો આદેશ આપ્યોે.
દુર્ભાગ્યપૂર્ણ રીતે આજના વિશ્વમાં આપણે બિનમુસ્લિમો અને મુસ્લિમો દ્વારા મુસ્લિમો પર થતા અત્યાચાર અને હિંસાઓ વિશે વાંચતા-સાંભળતા રહીએ છીએ પરંતુ જે ઈસ્લામ સાથે સંબંધિત નથી તેવો ઈસ્લામનો કદરૂપો ચહેરો વિશ્વને બતાવવા માટે દયા અને કરૂણા જેવા અલ્લાહના ગુણોની કતલ કરવામાં આવે છે.
સામેની તસવીર હંગેરીના હાર્ટોબેગી રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલી પક્ષીઓ માટેની હોસ્પિટલમાં ચકલીના બચ્ચાંની નાનકડી ચાંચમાં પ્રવાહીના ટીપા મૂકીને તેને ખવડાવવામાં આવી રહ્યું છે.