(એજન્સી) તા.ર૩
ભારતમાં માનવાધિકાર ક્ષેત્રે વિશેષ કાર્ય કરનાર મુંબઈમાં જન્મેલી માનવાધિકાર કર્મશીલ અને લેખક તિસ્તા સેતલવાડે બ્રિટિશ કોલંબિયાના પ્રધાનમંત્રી જ્હોન હોર્ગનને ભારતમાં માનવાધિકારોની બગડતી જતી પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા. કેનેડાની મુલાકાતે આવેલી તિસ્તા સેતલવાડે ૧૮ એપ્રિલના દિવસે બ્રિટિશ-કોલંબિયાના પ્રધાનમંત્રી જ્હોન હોર્ગન જોડે તેમની ઓફિસમાં બેઠક કરી હતી. ર૦૦રમાં ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતમાં મુસ્લિમ વિરૂદ્ધ થયેલા ઘાતકી હત્યાકાંડના પીડિતોને ન્યાય અપાવવાના અભિયાનમાં તિસ્તા સેતલવાડ આગેવાન છે. તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. માનવાધિકાર કાર્યકરોએ આ ગુનામાં તે સહભાગી હોવાના આક્ષેપો કર્યા હતા પરંતુ તેમને કયારેય દોષિત ઠેરવવામાં આવ્યા નથી. બ્રિટિશ-કોલંબિયાની મુલાકાત દરમિયાન સેતલવાડે તેમની સ્મરણકથા ‘ફૂટ સોલ્જર ઓફ ધ કોન્સ્ટિટયુશન’ના પંજાબી ભાષાંતરનું વિમોચન કર્યું હતું જે ન્યાય માટે તેમણે કરેલા સંઘર્ષ પર આધારિત છે. ૧૩ એપ્રિલના દિવસે રેડિકલ દેશી, ઈન્ડિયન એવોર્ડ ફોર પ્લુરાઈસ્ટ ઈન્ડિયા અને મહેક પંજાબ દી આયોજિત એક કાર્યક્રમમાં બહાદૂરી માટેનું મેડલ આપી તિસ્તા સેતલવાડનું સન્માન કરવામાં આવ્યું હતું. હોર્ગન સાથેની મુલાકાત દરમિયાન સેતલવાડે તેમને પોતાના પુસ્તકની નકલ ભેટ આપી હતી અને નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી જમણેરી હિન્દુ સરકારના શાસનમાં ભારતની હાલની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે આ વાતનો સંકેત આપ્યો હતો કે હાલના વહીવટી તંત્રમાં ધર્માંદતાના રાજકારણ અને લઘુમતીઓ પર થતાં હુમલામાં વધારો થયો છે. આ ઉપરાંત ૧૬ એપ્રિલે બ્રિટિશ-કોલંબિયા યુનિ.માં આયોજિત એક કાર્યક્રમમાં સેતલવાડે ભારતમાં વધી રહેલો ધર્માંધતાનું રાજકારણ અને સરકારી દમન પર પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત પહેલાં આઠ વર્ષની મુસ્લિમ છોકરી આસિફાબાનો માટે મૌન પાળવામાં આવ્યું હતું જેની સાથે જમણેરી સમર્થકોએ સામૂહિક બળાત્કાર કરી તેની હત્યા કરી દીધી. રર એપ્રિલ રવિવારે સેતલવાડ અને તેમની સ્મરણકથાનું પંજાબીમાં અનુવાદ કરનાર બુટાસિંહ ન્યુટન લાઈબ્રેરીમાં ઉપસ્થિત રહી એક ચર્ચા સભામાં ભાગ લીધો હતો. જેમાં ભારતમાં લઘુમતીઓને ભયભીત કરવા માટે જાતીય હિંસાનો કેવી રીતે ઉપયોગ થાય છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી.