(એજન્સી) તા.ર૮
જ્યારે ભારત અને યુ.એસ. વચ્ચેની વાત આવે છે. ર + ર = ૦ થઈ જાય છે. ભારત અને અમેરિકાના વિદેશમંત્રીઓ અને સંરક્ષણમંત્રીઓ વચ્ચે ર + ર મંત્રણા બુધવારે ત્રીજી વખત મુલતવી રાખવામાં આવી હતી. વોશિંગટને કહ્યું હતું કે કેટલાક અનિવાર્ય કારણોસર તેને આ મંત્રણા પાછી ઠેલવી પડી હતી. હવે તે ભારત સાથે મળીને મંત્રણા માટેની નવી તારીખ નક્કી કરશે. આ મંત્રણાની શરૂઆત ૬ જુલાઈના દિવસે વોશિંગટનમાં થવાની હતી. છેલ્લા છ મહિનામાં ર + ર મંત્રણા મુલતવી રાખવામાં આવી હોય તેવી આ ત્રીજી ઘટના છે.જૂન ર૦૧૭માં વડાપ્રધાન મોદીની યુ.એસ. મુલાકાત વચ્ચે જ્યારે આ મંત્રણા વિશેની જાહેરાત કરવામાં આવી ત્યારે તેને ભારત-અમેરિકાના વધતા સંબંધોનું પ્રતિક ગણવામાં આવી હતી. સૂત્રો પ્રમાણે આ મંત્રણા રદ થવા પાછળ બે કારણો જવાબદાર હોઈ શકે છે. પ્રથમ તો અમેરિકા ઈચ્છે છે કે ભારત ઈરાન પાસેથી ખનીજ તેલ ખરીદવાનું બંધ કરે. તાજેતરની ભારત મુલાકાત દરમ્યાન યુ.એન.માં અમેરિકાની રાજદૂત નિક્કી હેવીએ વડાપ્રધાન મોદી સાથે આ વિશે વાતચીત કરી હતી.ઈરાન ડીલમાંથી બહાર થયા પછી અમેરિકા ઈચ્છે છે કે બધાં જ દેશો ઈરાન સાથે વ્યવહાર બંધ કરે. જ્યારે બીજી તરફ ઈરાન ભારતને ખનીજ તેલ પુરૂ પાડતો ત્રીજા ક્રમાનો દેશ છે. અમેરિકાની નારાજગીનું બીજુ કારણ છે ભારત અને રશિયા વચ્ચે થનારો એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમનો સોદો જેના બદલ ભારતને અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. ભારત અમેરિકા સાથે વ્યાપાર અને સંરક્ષણમાં ભાગીદારી વધારવા ઈચ્છે છે પરંતુ તેના માટે ઈરાન અને રશિયા સાથેના સંબંધો કાપી નાખવા એ પણ શક્ય નથી. શરૂઆતથી અમેરિકા તરફી ઝુકાવ ધરાવતી વડાપ્રધાન મોદીની વિદેશનીતિ માટે આ આકરી કસોટીનો સમય છે.
બધું બરાબર છે : અમેરિકાએ કહ્યું કે ભારત સાથેની ર + ર
બેઠક મુલતવી રાખવા પાછળ વ્યાપાર મુદ્દાઓ કારણ નથી
(એજન્સી) તા.ર૮
ભારત અને અમેરિકાના સંરક્ષણ મંત્રીઓ અને વિદેશમંંત્રીઓ વચ્ચેની ર + ર મંત્રણા ફરી એકવાર મુલતવી રાખવા વિશે અમેરિકાએ સ્પષ્ટતા કરી હતી. કે તેને વ્યાપાર પ્રતિબંધો અથવા નીતિગત મુદ્દાઓ સાથે કોઈ લેવા-દેવા નથી. આ મંત્રણાઓ મુલતવી રાખવા માટે અમેરિકાએ સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પિઓની વ્યસ્તતાનું કારણ આપ્યું હતું. અમેરિકાએ આ પણ સ્પષ્ટતા કરી હતી કે આ મંત્રણાઓ અચાનક મુલતવી રાખવામાં આવી નથી બંંને દેશોના અધિકારીઓને પહેલાથી જ આ વિશે જાણ હતી. પોમ્પિઓએ બુધવારે સુષ્મા સ્વરાજને ફોન કરીને જણાવ્યું હતું કે કેટલાક અનિવાર્ય કારણોથી આ મંત્રણા મુલતવી રાખવી પડશે. પરંતુ આ કારણો વિશે બંનેમાંથી કોઈપણ દેશે સ્પષ્ટતા કરી નથી. જેના કારણે અનેક અટકળોને વેગ મળ્યો હતો. દિલ્હી ખાતેની અમેરિકી એલચી કચેરીએ કહ્યું હતું કે ટ્રમ્પ વહીવટી તંત્ર માટે બંને દેશો વચ્ચેની ભાગીદારી મહત્ત્વની વ્યૂહાત્મક પ્રાથમિકતા છે અને તે ભારત સાથેના મજબૂત સંબંધો તરફ મજબૂત રીતે પ્રતિબદ્ધ રહેશે.