(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૧
જૂનાગઢના ઈવનગર નજીક આવેલ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ખડકાયેલા કચરાના ગંજની સમસ્યા હવે નજીકના સમયમાં ભૂતકાળ બની જશે. કારણ કે જૂનાગઢ કોર્પોરેશને આ સમસ્યાના નિવારણ માટે અમદાવાદની એક કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે. આ કંપની આ જગ્યામાંથી કચરાના વપરાશથી વીજળી ઉત્પન્ન કરશે. બાદમાં કચરાનો નિકાલ થયે ગાર્ડ પણ બનાવાશે. આ માટે કોર્પોરેશન આ કંપનીને ૧ રૂપિયાના ટોકનદરે જમીન પણ ફાળવશે. આ અંગે જૂનાગઢ મનપાના કમિશનર વી.જે. રાજપૂતે જણાવ્યું હતું કે શહેરભરનો કચરો ઈવનગરના ડમ્પિંગ સાઈટમાં એકઠો થાય છે. ત્યાં આ કચરાના નિકાલ માટે જે કંપનીને કામગીરી સોંપી હતી તે અંજન બાયોટેક કંપની કામ છોડીને જતી રહી છે. પરિણામે ડમ્પિંગ સાઈટ ઉપર કચરાનો ભરાવો વધતો જતાં કચરાના ગંજ ખડકાયા છે. ત્યારે તેના નિકાલ માટે અમદાવાદની એક કંપની સાથે કોર્પોરેશને કોન્ટ્રાક્ટ કર્યો છે. આ કંપનીને એક રૂપિયા ચો.મી.ના ટોકનદરે કોર્પોરેશન જમીન આપશે. જેમાં કંપની આશરે ૭પથી ૧૦૦ કરોડના ખર્ચે પ્લાન્ટ નાખશે. આ કંપની કચરામાંથી વીજળી ઉત્પન્ન કરી વેચશે. આમા કોર્પોરેશનને એકપણ રૂપિયાનો ખર્ચ નથી તેમ પણ જણાવતા કમિશનર વી.જે. રાજપૂતે વધુમાં જણાવેલ કે સંપૂર્ણ ૧૦૦ ટકા (સો ટકા) રોકાણ કંપની કરશે. આમ શહેરનો સોલીડ, લિક્વિડ વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થશે. ક્યારે કામગીરી થશે ? તેવા પ્રશ્નના જવાબમાં કમિશનરે જણાવ્યું હતું કે આશરે અઢાર મહિનામાં કામગીરી પૂર્ણ કરાશે. આ કંપની જૂના અને નવા બંને કચરાનો નિકાલ કરશે. અને બેથી પાંચ વર્ષમાં ડમ્પિંગ સાઈટ સંપૂર્ણ ખાલી થઈ જશે. અગાઉની કંપની કામગીરી અધૂરી મૂકીને ભાગી ગઈ છે ત્યારે તેનું પુનરાવર્તન તો નહીં થાય ને ? તેવા પ્રશ્નના જવાબમાં કમિશનર વી.જે. રાજપૂતે જણાવ્યું હતું કે આ વખતે કોર્પોરેશને કરારમાં અત્યંત આકરી શરતો રાખી છે. ઉપરાંત બેન્ક ગેરંટી પણ લીધી છે. આમ ઈવનગરમાં ડમ્પિંગ સાઈટમાં ભરાયેલા કચરાના ગંજ દૂર થશે જેથી આજુબાજુના રહેવાસીઓને પણ પડતી મુશ્કેલી દૂર થશે. એટલું જ નહીં ભવિષ્યમાં આ સાઈટમાં ગાર્ડન પણ બનાવવામાં આવશે. જેથી વાતાવરણ પણ શુદ્ધ રહે લોકો હરવા-ફરવા પણ આવી શકે.