મુસાફરોને મૂકવા માટે બસો શરૂ કરાઈ પણ અધવચ્ચે જ મુસાફરોને ઉતારી દેવાતા બસોની ફરિયાદો

અમદાવાદ, તા.૨૧
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે કરફ્યૂની જાહેરાત કરાઈ છે. આવામાં અમદાવાદમાં વાહનોના પૈડા થંભી ગયા છે, જેની સૌથી મોટી અસર મુસાફરો પર પડી હતી. ટ્રેનથી બહારથી આવેલા અને અમદાવાદથી બહાર જઈ રહેલા મુસાફરોની મોટી ભીડ અમદાવાદ રેલવે સ્ટેશન પર જોવા મળી. તો બીજી તરફ, એસટી બસના પૈડા થંભી ગયા હોવાથી ગીતા મંદિર બસ ડેપો સાવ સૂમસાન બની ગયું છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચી રહેલા મુસાફરો આજે સવારથી જ પરેશાન થયા છે. અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડથી પદયાત્રા કરવા મુસાફરો મજબૂર બન્યા છે. હાથમાં સામાન, માથા પર બેગ અને પરિવાર સાથે લોકો માર્ગો પર ચાલતા નજરે પડ્યા. લોકડાઉન સમયે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે રીતે લોકો ચાલતા જવા મજબૂર બન્યા હતા, તે દ્રશ્યો ફરી અમદાવાદમાં જોવા મળ્યા. પોતાના ઘર સુધી પહોંચવા, સવારી મેળવવા લોકો અમદાવાદથી બહાર નીકળવા ચાલતા માર્ગો પર નીકળતા જોવા મળ્યા હતા. રેલવે સ્ટેશન પર યાત્રીઓની ભીડ જોવા મળી. હજારોની સંખ્યામાં યાત્રીઓ અમદાવાદ રેલવે સ્ટેશન બહાર ઉભા હતા. રેલવે યાત્રીઓ માટે એએમટીએસ બસની સુવિધા શરૂ કરી છે. લોકોને એમના ઘર સુધી પહોંચાડવા માટે ૧૫૦ એએમટીએસની બસો શરૂ કરાઈ છે. પરંતુ બસો પણ અધવચ્ચે મુસાફરોને ઉત્પરી દેતી હોવાની ફરિયાદો મળી હતી. અમદવાદના ગીતા મંદિર એસટી બસસ્ટોપની બહાર મોટી સંખ્યામાં મુસાફરો નજરે પડ્યા. પરિવારજનો તેમજ હાથમાં અને માથા પર બેગ સાથે સવારી મળશે તેવી રાહમા તેઓ અહી બેસ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચ્યા બાદ રીક્ષા મારફતે એસટી સ્ટેન્ડ પર પહોંચ્યા, પણ એસટી સ્ટેન્ડ પહોંચી મુસાફરો અટવાયા છે. કરફ્યૂમાં એસટીની સુવિધા પણ બંધ હોવાથી મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ રીક્ષા ચાલકો પણ અમદાવાદની બહાર સુધી લઈ જવા બેથી ત્રણ ગણું ભાડું માગતા હોવાનું મુસાફરોએ જણાવ્યું. એસટી સેવા બંધ થતાં મુસાફરોને હાલાકી પડી રહી છે. ગીતા મંદિર એસટી સ્ટોપ કે જ્યાં હજારો લોકો રોજની મુસાફરો કરતા હતા, એ જગ્યા કરફ્યૂને કારણે સૂમસામ બની છે.