અમદાવાદ,તા.૨૭
કોરોના વાયરસ કોવિડ-૧૯ની પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતીમાં વિશ્વના અન્ય રાષ્ટ્રો-દેશોમાં અટવાયેલા-ફસાઇ ગયેલા ૧૯પ૮ જેટલા ગુજરાતીઓને તા.ર૭મી મે બુધવાર સુધીમાં વંદેભારત મિશન અન્વયે સ્વદેશ-વતનભૂમિ પરત લાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, કોરોનાની મહામારીમાં અન્ય રાષ્ટ્રોમાં અભ્યાસ કરવા ગયેલા અને અટવાઇ ગયેલા વિદ્યાર્થીઓ, પરિવારોને વતનભૂમિમાં ઘર, પરિવાર પાસે લાવવાના હેતુથી ભારત સરકારના વિદેશ મંત્રાલયે તા.૭મી મે થી વંદેભારત મિશન શરૂ કર્યુ છે. વિશ્વના વિવિધ દેશો-રાષ્ટ્રોમાં અભ્યાસ, વેપાર કે પ્રવાસે ગયેલા ગુજરાતી મૂળના લોકોને પણ આ મિશન અંતર્ગત કોરોના વાયરસની સ્થિતીને અનુલક્ષીને વતન પરત લાવવાની કાર્યવાહિ કરવામાં આવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, તા.૧રમી મે એ યુએસએથી અમદાવાદ માટે જે પ્રથમ ફલાઇટ આવી તેમાં ૧૩પ ગુજરાતીઓ માતૃભૂમિ પરત આવ્યા છે. આવી વિશેષ ફલાઇટનું એર ઇન્ડીયા અને એર ઇન્ડીયા એકસપ્રેસ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે તેમાં ક્રમશઃ કુવૈત-૧૪૬, ફિલીપાઇન્સ-૧૫૫, યુ.કે.-૩૦૩, મલેશિયા-૪૮, ઇન્ડોનેશિયા-૩૮, યુ.કે-૧૩૨, યુ.એસ.એ-૭૩, ઓસ્ટ્રેલિયા-૨૧૭, ફિલીપાઇન્સ-૧૭૭, સિંગાપોર-૯૩, બેલ્લારૂસ-૧૦ર, કેનેડા-૧૭૬ અને ફ્રાન્સ-૬૬ મળીને સમગ્રતયા ૧૯પ૮ જેટલા ગુજરાતીઓ વતનભૂમિ પરત ફર્યા છે. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે આવા અન્ય રાષ્ટ્રોમાં રહેલા ભારતીયોને વતન પરત લાવવા માટે ‘વંદેભારત મિશન’નો બીજો તબક્કો તા.૧૬મી મે થી શરૂ કર્યો છે જે તા.૧૩મી જૂન સુધી ચાલુ રહેવાનો છે. તેમણે કહ્યું કે, આ દરમ્યાન ગુજરાતી યાત્રિકોને લઇને જે ફલાઇટ વિશ્વના દેશોમાંથી આવવાની છે. તેમાં, તા.ર૯મી મે એ અને તા.૩૧મી એ યુ.એ.ઇ.થી, તા.૩૦મી મે એ ઓમાન અને કતારથી, તા.૧ લી જૂને કુવૈતથી તા.૮મી જૂને યુ.કે.થી બે ફલાઇટ તેમજ તા.૯મી જૂને યુ.એસ.એ.થી બે ફલાઇટ ગુજરાત આવશે.
અન્ય દેશોમાં અટવાઈ ગયેલા ૧૯૫૮ ગુજરાતી પરત ફર્યા

Recent Comments