અમદાવાદ શહેરના ગોતા મહેસૂલ ભવન પાસે પરપ્રાંતિય લોકો એકઠા થઈ ગયા હતા અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ખુલ્લો ભંગ કરાયો હતો.

અમદાવાદ,તા.૮
આજે પણ અમદાવાદ શહેરમાં ગોતા પ્રાંત કચેરી, ઓઢવ, વસ્ત્રાલ, રબારી કોલોની, એલિસબ્રીજ સહિતના વિસ્તારોમાં પોતાના વતન જવાની માંગ સાથે હજારો પરપ્રાંતીયો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગોતા પ્રાંત કચેરી ખાતે તો બે હજારથી વધુ પરપ્રાંતીયોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. બીજીબાજુ, અમદાવાદથી આજે વધુ બે બે સ્પેશ્યલ ટ્રેન મારફતે ૧૨૦૦થી વધુ પરપ્રાંતીયોને ઉત્તરપ્રદેશ રવાના કરાયા હતા. આ જ પ્રકારે રાજકોટ, અમરેલી, જૂનાગઢ-કેશોદ, અંકલેશ્વર સહિતના અન્ય શહેરો-જિલ્લામાંથી પણ પરપ્રાંતીયોને તેમના વતન રવાના કરાયા હતા. લોકડાઉનને પરિણામે ૪૫ દિવસથી રોજી વિના અટવાઈ ગયા હોવાથી અસ્વસ્થ થયેલા અંદાજે ૪.૫૦ લાખથી વધુ શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાંથી ૧૦૧ જેટલી ટ્રેન મારફતે અંદાજે ૧.૨૧ લાખ જેટલા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ માટે ૫૯, બિહાર માટે ૧૭, ઝારખંડ માટે ૨, ઓરિસ્સા માટે ૫, મધ્ય પ્રદેશ માટે ૫ ટ્રેન રવાના કરી છે. ગુજરાતની બહાર અન્ય રાજ્યોમાં લોકડાઉનની સ્થિતીમાં અટવાઇ ગયેલા ૩૦ હજારથી વધુ યાત્રિકો-વિધાર્થીઓને મુખ્યમંત્રીના દિશાનિર્દેશમાં ગુજરાત સહીસલામત રીતે પરત લાવવામાં આવ્યા છે. ગુજરાતમાં રોજી-રોટી, રોજગાર માટે આવેલા દેશના અન્ય રાજ્યોના ૪ લાખ ૫૦ હજાર જેટલા શ્રમિકો-કામદારોને પોતાના વતન રાજ્ય-પ્રદેશ પહોંચાડવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુવ્યવસ્થિત રીતે પાર પાડી છે. અત્યાર સુધીમાં વિશેષ ટ્રેન સેવાઓ દ્વારા ૧ લાખ ર૧ હજાર, બસ સેવાઓના માધ્યમથી પપ હજાર તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખાનગી વાહનો-ખાનગી બસો દ્વારા ૧ લાખ ૬૭ હજાર જેટલા તથા સુરત મહાનગરમાંથી ખાનગી વાહનો-સ્વ વાહનો દ્વારા ૧ લાખ ૧૪ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં પોતાના વતન ગયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા શ્રમિકોને વતન રાજ્ય જવા માટેની વ્યવસ્થા અંગે ભારત સરકાર સાથે પરામર્શમાં રહીને ગુજરાતમાં વસતા ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોના શ્રમિકો માટે વિશેષ ટ્રેન બીજી મે થી શરૂ કરાવી છે. તા. ર મે થી તા. ૬ મે દરમ્યાન ૬૭ વિશેષ યાત્રી ટ્રેન ગુજરાતમાંથી રવાના થઇ છે તેમાં ઉત્તરપ્રદેશ માટે ૩૯, ઓરિસ્સા માટે ૧૩, બિહાર માટે ૧૩ અને ઝારખંડ માટે ર ટ્રેનનો સમાવેશ થાય છે. આ દરેક ટ્રેનમાં ૧ર૦૦ જેટલા શ્રમિકોને સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સના પાલન સાથેની વ્યવસ્થાઓ અન્વયે જિલ્લાતંત્ર દ્વારા તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. આજે વધુ ૩૪ વધુ વિશેષ ટ્રેન દોડાવી હતી. તેમાં ઉત્તર પ્રદેશની ર૦, બિહારની ૪, ઝારખંડની ર, ઓરિસ્સાની પ, મધ્યપ્રદેશની ર અને છત્તીસગઢની ૧, ટ્રેન ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, મોરબી, મહેસાણા, ગોધરા, જામનગર, જુનાગઢ જેવા સ્ટેશન્સથી રવાના થઈ છે.