મોડાસા,તા.૩૦
અરવલ્લી-સાબરકાંઠા આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચે ગેર બંધારણીય રીતે અનુસૂચિત જનજાતિના મેળવેલ ખોટા પ્રમાણપત્ર સાચા ઠરાવવા માટે સૌરાષ્ટ્ર અને મહીસાગર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં એક સમુદાય દ્વારા થઈ રહેલા આંદોલન અંગે રાજ્યપાલને ઉદ્દેશીને લખેલ આવેદનપત્ર અરવલ્લી જિલ્લા ક્લેક્ટરને આપી ન્યાયની માંગ કરી હતી.
અરવલ્લી જિલ્લા ક્લેક્ટર અમૃત્તેશ ઔરંગબાદકરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, હાલમાં જાતિના ખોટા પ્રમાણપત્રો ન આપવા અંગેનો રાજ્ય સરકારનો નવો કાયદો અમલમાં છે અને જેમણે ખોટા પ્રમાણપત્રો ભૂતકાળમાં લીધેલ છે. તે પ્રમાણપત્રોની ચકાસણી કરી નોકરીની આખરી નિમણૂંક માટે વિશ્લેષણ સમિતિ આવા ખોટા પ્રમાણપત્રોની ચકાસણી કરી રહેલ છે. આ ચકાસણી બાબતે ગેર બંધારણીય રીતે નિમણૂંક આપવા માટે સૌરાષ્ટ્રમાં કેટલાક સમાચાર માધ્યમોમાં રબારી સમાજ દ્વારા રેલીઓ, સભાઓ કરી આવેદન પત્રો આપી સમાચારો વહેતા કરવામાં આવેલ છે અને સરકાર ઉપર દબાણ લાવી રહેલ છે. વધુમાં મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં વસતા બક્ષીપંચ સમાજના લોકો આદિવાસી અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે તજવીજ કરી રહેલ છે. ખરેખર આ લોકો બક્ષીપંચના છે. જેથી આદિવાસી અંગેના ખોટા પ્રમાણપત્રો ન અપાય તેની પણ તકેદારી રાખવા જણાવાયું છે. આવા ખોટા આવેદનપત્રોથી દબાણને વશ થયા વગર અનુસૂચિત જનજાતિઓના ખોટા પ્રમાણપત્ર અંગેના કાયદાનો ઘનિષ્ટ અમલ થવો જોઈએ અને બંધારણીય રીતે યથાર્થ નિર્ણય લેવા વિનંતી કરીએ છીએ અને તેમાં ચૂંક જણાશે તો અમારા બંધારણીય હકોના રક્ષણ માટે આંદોલન કરવાની ફરજ પડશેની ચીમકી ઉચ્ચારી હતી.
અરવલ્લી જિલ્લામાં ગેરબંધારણીય રીતે અનુ. જનજાતિના પ્રમાણપત્ર સાચા ઠેરવવાના પ્રયાસનો વિરોધ

Recent Comments