(એજન્સી) તા.૫
નરેન્દ્ર મોદી સરકારના નવા કૃષિ કાયદાઓના મૂળમાં ત્રણ મહત્વપૂર્ણ પ્રશ્નો ઊભા થયાં છે અને નિષ્ણાતો તેના જવાબ અંગે સંમત નથી. જુદા જુદા નિષ્ણાતો આ મુદ્દે જુદા જુદા જવાબ આપે છે. આ ત્રણ પ્રશ્નોમાં પ્રથમ પ્રશ્ન એ છે કે લઘુત્તમ સમર્થન મૂલ્ય એટલે કે એમએસપી દ્વારા કેટલા ટકા ખેડૂતોને લાભ થાય છે ? બીજો પ્રશ્ન એ છે કે શું આ ખેડૂતો પંજાબ અને હરિયાણાના છે ? અને ત્રીજો પ્રશ્ન એ છે કે શું આ ખેડૂતો મોટા ભાગે મોટા ખેડૂતો છે ? આ મુદ્દે બે અગ્રણી નિષ્ણાતો સાથેની અલગ અલગ મુલાકાતોમાં કરણ થાપરે કમિશન ફોર એગ્રીકલ્ચર પોસ્ટના પૂર્વ અધ્યક્ષ અશોક ગુલાટી અને આઇસીઆરઆઇઇઆર ખાતે કૃષિ વિષયના ઇન્ફોસિસ પ્રાધ્યાપક રિતીકા ખેરા સાથે વાતચીત કરી હતી. રિતીકા ખેરા આઇઆઇટી દિલ્હી ખાતે અર્થશાસ્ત્રના એસોસીએટ પ્રોફેસર પણ છે. અશોક ગુલાટીએ વારંવાર ભારપૂર્વક દોહરાવ્યું હતું કે માત્ર ૬ ટકા લોકોને જ એમએસપીનો લાભ મળે છે. જ્યારે તેની સામે ખેરા જણાવે છે કે ગુલાટીએ તેમના દાવાના સમર્થનમાં એનએસએસઓ સીચ્યુએશન એસેસમેન્ટ સર્વેના જે પુરાવા ટાંક્યાં છે તે જૂના છે. તેમણે એવું જણાવ્યું છે કે વહીવટી ડેટાના આંકડા બતાવે છે કે ડાંગર માટેના એમએસપીનો ૧.૧૦ કરોડ લાખ ખેડૂતોને લાભ થયો છે જ્યારે ઘઉં માટેના એમએસપીનો ૪૦ લાખ ખેડૂતોને ફાયદો થયો છે. તેમણે જણાવ્યું હતું કે આ બંને આંકડા ૬ ટકાના આંકડા કરતાં ઘણા વિશેષ છે. ગુલાટી જણાવે છે કે એમએસપીનો સૌથી વધુ લાભ મુખ્યત્વે પંજાબ અને હરિયાણાના લોકોને થયો છે. જો કે તેઓ એ વાત પણ સ્વીકારે છે કે અન્ય રાજ્યો ૩૫ ટકા જેટલા ખેડૂતોને પણ લાભ થયો છે.પરંતુ તેની સામે ખેરા જણાવે છે કે ડીસેન્ટ્રલાઇઝ્ડ પ્રોક્યોરમેન્ટ સ્કિમ એમએસપી સુધી વિસ્તારવામાં આવેલ છે અને તેથી તેમાં ડીસીપી સ્ટેટનો હિસ્સો ૨૫થી ૩૦ ટકા જેટલો છે. ગુલાટી જણાવે છે કે એમએસપી અને એપીએમસી સિસ્ટમ મોટા ખેડૂતોને મદદરુપ થાય છે કે જેમની પાસે વિશાળ પ્રમાણમાં પુરાંત હોય છે પરંતુ ૮૬ ટકા ભારતીય ખેડૂતો નાના અને સિમાંત હોવાથી તેમને એમએસપીનો ફાયદો મળતો નથી.
Recent Comments