નવી દિલ્હી,તા.૨૫
ટીમ ઇન્ડીયાના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ એ રમઝાનની મુબારકબાદ આપી છે. આ સાથે જ તેમણે દેશના લોકો માટે એક સુંદર સંદેશો આપ્યો છે. ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે ’’ઘણા લોકો વાત કરી રહ્યા છે કે આ વખતે રમઝાનનો મહીનો ખૂબ મુશ્કેલીથી પસાર થવાનો છે, આ રબ તરફથી પરીક્ષા છે.’’ ઇરફાને પઠાણે આગળ કહ્યું ’એવું નથી મારા મિત્રો, પરંતુ આ વખતે રમઝાન મહિનો આપણા માટે તક લાવીને આવ્યો છે. આપણી ઇબાદતમાં વધારો કરવની. આપણે હંમેશા કામમાં વ્યસ્ત હોઇએ છીએ, અને જો કામમાં રહીને રોઝા રાખીએ છીએ તો ઇબાદતોમાં થોડો ઘટાડો થાય છે. અથવા એટલી સારી રીતે ઇબાદત કરી શકતા નથી જેટલી સારી રીતે આપણે કરવી જોઇએ.
ઇરફાને એ પણ કહ્યું કે લોકડાઉન વખતે આપણે ઘરમાં જ રહીશું, જો આપણે ઘરમાં રહીશું તો આપણી પાસે ઇબાદત કરવાનો સમય ખુબ હશે, વધુ નમાઝ અને કુરાફ શરીફ વાંચવાનો, હદીસે સાંભળી તેના પર અમલ કરવાનો, સારા કામ કરવાનો અને પોતાની ઇચ્છાઓ પર કાબૂ કરવાનો. રોઝાનો સૌથી મોટું પાસુ ભૂખ્યા રહેવું હોતું નથી, પરંતુ પોતાની ઇચ્છાઓ પર કાબૂ રાખવાનો હોય છે, રોઝા આંખોના હોય છે, જુબાનના હોય છે, જિસ્માની રોઝા, રૂહાની રોઝા.
અંતમાં ઇરફાન પઠાણે કહ્યું કે આનાથી સારી રમઝાન ન ક્યારેય આવી છે અને ન ક્યારેય આવશે. જો આપણે આ વિચારસણી સાથે રોઝા રાખીશું તો આ રમઝાન મહિનો ખૂબ સુંદર રીતે પસાર થશે. સ્પષ્ટ છે કે ઇરફાને આ મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ઘરમાં જ રહીને ઇબાદત કરવી સારું છે, કારણ કે બહાર કોરોના વાયરસનો ખતરો છે. ઇરફાન પહેલાં પણ ખતરનાક બિમારીને લઇને સાવધાન રહેવાની સલાહ આપી ચૂક્યા છે.