અંકલેશ્વર, તા.૧
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતે વાલિયા રોડ પર સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને ઇંડકટોથર્મ ગ્રુપ અને કુંદન ઉદાણી ફાઉન્ડેશન તરફથી અદ્યતન કાર્ડિયાક એમ્બ્યુલન્સનું દાન અપાયું હતું. તેને આઈ.સી.યુ. ઓન વ્હીલના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેના નામ પ્રમાણે જ આ એમ્બ્યુલન્સ વેન્ટિલેટર, ઓક્સિજન, ડીફેબ્રીલેટર, સૅક્સન પમ્પ, સિરીંજ પમ્પ જેવા તમામ ઇમર્જન્સીના સાધનોથી સજ્જ છે. જેથી કરીને દર્દીને ઇમર્જન્સીમાં જોઈતી સારવાર એમ્બ્યુલન્સમાં જ મળી રહે અને હોસ્પિટલ પહોંચતા સુધી દર્દીનો જીવ બચી શકે. આ અદ્યતન એમ્બ્યુલન્સની કિંમત જા. ૨૦ લાખ જેટલી છે. ઇંડકટોથર્મ ગ્રુપના ચિરાગ સીતવાલા, એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર, દિનેશ ધોળકિયા, સિનિયર મેનેજર અને કબીર વડનગર તથા કુંદન ઉદાણી ફાઉન્ડેશનના પૂજા ઉદાણી, રિંકલ ઉદાણી અને સાધના ઉદાણીના આ દાન થકી દર્દીઓને ઈમરજન્સીના સમયમાં ઉત્તમ સારવાર મળી રહેશે. આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.