અમદાવાદ,તા. ૧૦
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા મહત્વની સ્ક્રીનીંગ કમીટીની પ્રથમ બેઠક આવતીકાલે તા.૧૧મી સપ્ટેમ્બરે મળનાર છે. જેથી હવે આવતીકાલથી કોંગ્રેસના ઉમદવારોની પસંદગીની સત્તાવાર પ્રક્રિયાની શરૂઆત થઇ જશે. સ્ક્રીનીંગ કમીટીના નેતાઓની બેઠક પ્રદેશ ઇલેકશન કમીટીના હોદ્દેદારો સાથે પણ આ મામલે ચર્ચા વિચારણા હાથ ધરશે. થોડા દિવસ પહેલાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રના સાંસદ બાલાસાહેબ થોરાટના અધ્યક્ષ પદે ચાર સભ્યોની સ્ક્રીનીંગ કમીટીની રચના કરી હતી. જેમાં અધ્યક્ષ થોરાટના નેજા હેઠળ અન્ય ત્રણ સભ્યા અજય લલ્લુ સાંસદ અને સીએલપી લીડર-ઉત્તરપ્રદેશ, ગીરીશ છોડનકર એઆઇસીસીના સેક્રેટરી અને પૂર્વ સાસંદ મીનાક્ષી નટરાજનની પણ નિયુક્તિ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા રચાયેલી આ મહત્વની સ્ક્રીનીંગ કમીટી ગુજરાત કોંગ્રેસની ઇલેકશન કમીટી દ્વારા જે ઉમેદવારોની પસંદગી પર ભાર મૂકાશે તેનું સ્ક્રીનીંગ, ચકાસણી-ખરાઇ અને આખરી ઓપ આપવાનું કામ કરશે. જે ઘણી મહત્વની અને નિર્ણાયક કામગીરી ગણાય છે. વિધાનસભાની ચૂંટણીઓને લઇ કોંગ્રેસના કયા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા તેઓના નામો નક્કી કરવા અને તેમની પસંદગી માટેની કવાયતના ભાગરૂપે સોમવારે સ્ક્રીનીંગ કમીટી અને પ્રદેશ કોંગ્રેસની ઇલેકશન કમીટીની સંયુકત બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આ વખતે ૧૨૫ પ્લસ બેઠકો હાંસલ કરવાના લક્ષ્યાંકને પામવા ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પસંદગી માટે અગાઉથી જ રાજયના ચાર ઝોનમાં લોકો વચ્ચે જઇ તેમની સમસ્યા, તકલીફ અને પ્રશ્નો જાણી ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે, સાથે સાથે રાજયના તમામ મતક્ષેત્રોમાં કયા ઉમેદવાર માટે પ્રજાનો કેવો મૂડ અને પ્રતિભાવ છે તે જાણવા ખાસ સર્વે કરાયો છે અને તેમાં મીડિયાથી માંડી સ્વૈચ્છિક સંગઠનો અને સ્થાનિક આગેવાન અને પ્રજાજનોની મદદ પણ લેવામાં આવી છે કે, જેથી કોંગ્રેસને સાચા અને જીતી શકે તેવા ઉમેદવારની પસંદગી કરવામાં સરળતા રહે. આ વખતની ચૂંટણી કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાભરી અને ઇજ્જતના સવાલ સમી હોઇ કોંગ્રેસ કોઇપણ મુદ્દે કચાશ રાખવા માંગતી નથી કે, કોઇ બાંધછોડ કરવા માંગતી નથી. એટલે જ ઉમેદવારોની પસંદગી અને ટિકિટના મુદ્દે પણ કાચુ ના કપાય તેનું કોંગ્રેસ ખાસ ધ્યાન રાખી રહી છે.