મોડાસા, તા.૧૮
સમગ્ર ભારતમાં કોરોના વાયરસને કારણે ચેપ વધુ ન ફેલાય તે માટે દેશના વડાપ્રધાન અને આરોગ્ય વિભાગ દ્વારા સોસિયલ ડિસ્ટન્સ રાખવા સૂચન કરવામાં આવ્યું છે. પરંતુ સોશિયલ ડિસ્ટનસિંગ અરવલ્લી આરોગ્ય વિભાગ દ્વારા જ જાળવવામાં આવ્યું ન હોવાનું બહાર આવ્યું છે. એક જ એમ્બ્યુલન્સમાં હોમકોરોન્ટીન કરેલ ૧૨ જેટલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટે મોડાસાની કોવિડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હોવાનો વિડીયો વાઈરલ થયો હતો. ત્યારે રોગ જાગૃતિના પાઠ ભણાવનાર આરોગ્ય વિભાગ જ કેમ ઉણું ઉતરે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
અરવલ્લીના નારણપુરા ગામથી કોરોના ટેસ્ટ કરવા લાવવામાં આવેલ દર્દી દ્વારા એમ્બ્યુલન્સમાં બેઠેલા લોકોનો વિડિઓ પણ ઉતારવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એમ્બ્યુલસમાં ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ સહિત એમ્બ્યુલન્સ માં ૧૪ જેટલા લોકો બેસેલા જોવા મળી રહ્યા છે. એમ્બ્યુલસમાં હાજર દર્દીઓમાં આક્ષેપ છે કે એક તરફ સરકાર અને તંત્ર સોશ્યલ ડિસ્ટનસિંગની વાતો કરે છે કે લોકો સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જ એક સાથે ૧૨ થી ૧૪ જેટલા લોકોને એમ્બ્યુલસમાં ભરીને કોરોનાનો ટેસ્ટ કરાવવા લાવવામાં આવ્યા છે. વધુમાં આ તમામ લોકો હોમકોરોન્ટાઇન કરેલ વ્યક્તિઓ છે અને તે અન્ય જિલ્લામાંથી આવ્યા છે. જો આમાંથી કોઈ એક વ્યક્તિનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો અન્ય વ્યક્તિઓને પણ કોરોનાનું સંક્રમણ થઈ શકે આવી પરિસ્થિતિમાં એક સાથે આટલા વ્યક્તિઓ ને એક જ એમ્બ્યુલન્સમાં રિપોર્ટ કરાવવા લઈ આવતા તંત્ર પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.