સિડની, તા.૭
બીજી ટી-૨૦માં ભારતે ઓસ્ટ્રેલિયાને ૬ વિકેટથી હાર આપી હતી. આ સાથે ત્રણ મેચની સીરિઝ પર ભારતે ૨-૧થી કબજો કર્યો હતો. મેચ જીતવા ૧૯૫ રનના ટાર્ગેટને ભારતીય ટીમે ૧૯.૪ ઓવરમાં હાંસલ કર્યો હતો. ભારત તરફથી કે.એલ.રાહુલે ૨૨ બોલમાં ૩૦ રન, શિખર ધવને ૩૬ બોલમાં ૫૨ રન, વિરાટ કોહલીએ ૨૪ બોલમાં ૪૦ રન અને શ્રૈયસ ઐયરે ૧૦ બોલમાં ૧૫ રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા ૨૨ બોલમાં ૪૨ અને શ્રેયસ ઐયર ૫ બોલમાં ૧૨ રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.
મેચ બાદ લેંગરે પંડ્યાની ઈનિંગને અશ્વિસનીય પ્રદર્શન ગણાવીને તેની પ્રશંસા કરી હતી અને તેની તુલના ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે કરી હતી. તેણે કહ્યું, આ ગેમનું અવિશ્વસનીય પ્રદર્શન હતું. અમે જાણીએ છીએ કે પંડ્યા કેટલો ખતરનાક છે. પહેલાં એમ.એસ.ધોની હતો અને આજે પંડ્યા છે, તે સારો ખેલાડી છે, તેણે મેચ વિજેતા ઈનિંગ રમી.
ઓસ્ટ્રેલિયાના કોચે કહ્યું, એક વખત અમને લાગ્યું કે મેચ અમારા કબજામાં આવી ગઈ છે. અમારી ફિલ્ડિંગ પણ સારી હતી. પરંતુ પંડ્યાએ બાજી ફેરવી નાંખી. તેણે કોહલીને લઈ કહ્યું, મેં વર્ષોથી કહ્યું છે કોહલી સૌથી સારો ખેલાડી છે તેણે કેટલાક અકલ્પનીય શોટ રમ્યા હતા, જે જોઈ હું હેરાન રહી ગયો હતો. લેંગરના કહેવા મુજબ, તેમની ટીમે વિચાર્યું કે મેચ જીતવા પૂરતા રન છે અને ભારતને મેચ જીતવા ખરેખર સારી બેટિંગની જરૂર હતી. ભારતીય ટીમે ખૂબ સારી બેટિંગ કરી હતી. આ એક રોમાંચક મેચ હતી.