(એજન્સી) નવી દિલ્હી, તા.૯
કોરોના વાયરસનો સામનો કરવા હાલમાં દેશ લૉકડાઉનના ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. લૉકડાઉન-૩ના ૧૪ દિવસના આ લૉકડાઉનમાં સરકારે કેટલીક રાહતો પણ આપી છે. લૉકડાઉન ૩.૦માં સરકારે દેશને રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વહેંચેલ છે. લૉકડાઉન ૩.૦નો ગાળો ૧૭મીએ પૂરો થઈ રહ્યો છે. હવે કેન્દ્ર સરકાર લૉકડાઉન પૂરૂ થયા બાદના પ્લાન ઉપર આગળ વધી રહી હોવાનું જાણવા મળે છે. સરકાર દ્વારા દરેક જિલ્લાની સ્થિતિ પર અભ્યાસ ચાલુ છે અને રાજ્ય સરકારો સાથે ચર્ચા બાદ એકાદ બે દિવસની અંદર ત્રણેય ઝોનની નવી યાદી બહાર પડે તેવી શકયતા છે. સરકાર લૉકડાઉન પૂરૂં થયા પછી સ્થિતિને થાળે પાડવા માટે વિવિધ પ્રવૃત્તિની નેગેટિવ લીસ્ટની એક યાદી પણ તૈયાર કરી રહ્યુ છે. સરકાર એવો પ્લાન ઘડે છે કે, અર્થતંત્ર પણ દોડતું રહે અને લોકોને મુશ્કેલી પણ ન પડે. સરકારે જાહેર કર્યા અનુસાર અત્યારે ૧૩૦ જિલ્લા રેડ, ૨૮૪ ઓરેન્જ અને ૩૧૯ ગ્રીન ઝોનમાં છે. જો કે, છૂટ બાદ અમુક વિસ્તારોમાં કોરોનાના કેસ વધ્યા છે. આવતા થોડા દિવસોમાં ત્રણેય ઝોનની સંશોધિત યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં ૨૧૬ જિલ્લા એવા છે જ્યાં હજુ સુધી એક પણ કેસ નોંધાયા નથી. ૩૬ જિલ્લા એવા છે જ્યાં છેલ્લા ૧૪ દિવસમાં એક પણ કેસ સામે આવ્યો નથી. ૪૬ જિલ્લા એવા છે જ્યાં સાત દિવસમાં એક પણ કેસ સામે આવ્યો નથી. સરકાર હવે ૧૭મી પછીનો એક સરળ એક્ઝિટ પ્લાન બનાવી રહી છે. પીએમઓ ૧૫મી તારીખની આસપાસ નેગેટિવ લીસ્ટની યાદી બહાર પાડે તેવી શકયતા છે. જેમા આરોગ્ય, ગૃહ અને ઈકોનોમીક મંત્રાલયોના ઈનપુટનો સમાવેશ હશે. સરકાર એવી મંજૂરી આપવા માંગે છે કે, જેથી આર્થિક પ્રવૃત્તિ ચાલી શકે જે દરમિયાન સેનિટેશન અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનુ રહેશે. જો કે, સરકાર પાસે એવી આશંકા છે કે, આનાથી ઈન્સ્પેક્ટર રાજ આવી શકે છે, વિદેશ ઈન્વેસ્ટરો દૂર થઈ શકે છે. ઉપરાંત સરકાર મલ્ટીપલ ગાઈડલાઈન્સ બહાર પાડે તેનાથી ગુંચવાડો પણ થઈ શકે છે. જ્યાં સુધી સપ્લાય ચેઈન અધૂરી છે ત્યાં સુધી ઉદ્યોગ પૂર્ણ ક્ષમતાથી ચાલુ થઈ શકે તેમ નથી. અત્રે નોંધનીય છે કે, સરકારે બે તબક્કામાં અનેક પ્રવૃત્તિઓ ચાલુ કરવા મંજૂરી આપી હતી. ૨૦મી એપ્રિલે અને ૪થી મેએ કેટલીક મંજૂરી આપવામાં આવી હતી. સરકારના નિતીનિર્ધારકોને એવી ચિંતા છે કે, ૧૭મી પછી જો વધુ કડકાઈ રાખવામાં આવશે તો સ્થાનિક ઓથોરિટીના હાથમાં વધુ પડતી સત્તા આપવી પડશે તેનાથી ઈન્સ્પેક્ટર રાજ પણ પરત ફરી શકે છે. આ ઉપરાંત વિદેશી ઈન્વેસ્ટરોને આકર્ષવાના પ્લાન પર પણ પાણી ફરી વળે તેમ છે. સરકાર જે નેગેટિવ લીસ્ટની યાદી તૈયાર કરવા જઈ રહી છે તેમાં કઈ પ્રવૃતિ શરૂ કરવી અને કઈ પ્રવૃત્તિ શરૂ કરવાને મંજૂરી ન આપવી. સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે, અત્યારે નેગેટિવ લીસ્ટમાં પાંચથી છ બાબતોની જરૂરિયાત લાગે છે અને બાકીની સંપૂર્ણ રીતે ખુલ્લી મૂકી દેવાની તૈયારી છે. સપ્લાય ચેઈન સંપૂર્ણ રીતે કામ કરવી જોઈએ. સરકારનો એવો ઈરાદો છે કે, આર્થિક પ્રવૃત્તિ ફરી ધમધમે અને તેની સાથોસાથ સેનિટેશનના કડક નિયમોનું પાલન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ રહે. અધિકારીના જણાવ્યા પ્રમાણે, નેગેટિવ લીસ્ટની યાદીમાં એવી પ્રવૃત્તિઓ હશે જેમાં લોકો એકઠા થઈ ન શકે, ગુજરી બજાર જેવી બજાર ભરાઈ ન શકે અને થોડા સમય માટે શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રાખવી પડશે. સરકારે વિચાર્યુ છે કે, પબ્લિક ટ્રાન્સપોર્ટ વૈકલ્પિક બેઠક વ્યવસ્થા સાથે ડિસ્ટન્સિંગ રાખવા અને રેગ્યુલર ડીસ ઈન્ફેકટ (બસ, રિક્ષા, ટેક્સ વગેરેને સેનિટાઈઝ કરવા)ની વ્યવસ્થા કરી શરૂ કરવા દેવું. એટલુ જ નહીં હવાઈ સેવા પણ શરૂ કરવી જેમાં વચલી સીટ ખાલી રાખવી. એટલુ જ નહીં કામકાજના સ્થળે ૧૦થી વધુ લોકો એકઠા થઈ ન શકે. નવી ગાઈડલાઈન્સમાં ફેક્ટરીમાં બે પાળી વચ્ચે ૪૦ મિનિટનો સમય રાખવો, સેનિટેશનની વ્યવસ્થા રાખવી, હેન્ડ સેનિટાઈઝર જાહેર સ્થળો, પબ્લિક ટ્રાન્સપોર્ટ, સરકારી અને ખાનગી કામકાજના સ્થળોએ મૂકવા. લોકડાઉનનો ગાળો પૂરો થાય તેના બે દિવસ પહેલાં એટલે કે ૧૫મીએ આ અંગેની જાહેરાત થાય તેવી શક્યતા છે.
કેટલાક પ્રતિબંધો સાથે ૧૭મી પછી લૉકડાઉન ખુલવાની શક્યતા : સરકારે તૈયારી શરૂ કરી

Recent Comments