મોઢવાડિયાનો આક્ષેપ, સરકાર અધિકારીઓના રવાડે ચઢવાનું બંધ કરે પોઝિટિવ કેસના અને સ્મશાનના આંકડા છૂપાવવામાં આવે છે

રાજીવ ગુપ્તાને સવાલ કર્યો તો તેમણે ઈમરાન ખેડાવાલાને બ્લોક કર્યા

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૩૦
રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઈ ગઈ છે. બીજી બાજુ સ્મશાનગૃહમાં મૃતદેહને બાળવા કલાકો સુધી રાહ જોવી પડે છે. આવી કટોકટી ભરી સ્થિતિમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સરકારને આડે હાથ લઈ કહ્યું કે, આઈસીએમઆરે આંકડા બહાર પાડ્યા તેમાં ગુજરાત બિહાર પછી દેશનું સૌથી વધુ આંકડા છૂપાવનારૂં રાજ્ય છે. રાજ્યમાં પહેલાં સરખા ટેસ્ટ થતાં ન હતા, હવે પોઝિટિવ કેસના આંકડા અને સ્મશાનના આંકડા છૂપાવવામાં આવી રહ્યા છે.
મોઢવાડિયાએ પત્રકારોને જણાવ્યું કે, માત્ર અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સરકારી ચોપડે ૨૭૩૯ કેસ દર્શાવાયા છે, હકીકતમાં ખાનગી હોસ્પિટલો ફૂલ છે. એમાં ૩૧૮૨ બેડમાંથી ૨૮૪૫ દર્દી સારવાર લઈ રહ્યા છે જ્યારે ૨૯૧૬ દર્દી સરકારી દવાખાનામાં છે. જ્યારે આઈસીયુમાં ૪૪૦ બેડ છે એમાંથી ૩૦ જ ખાલી છે. ૨૧૦ વેન્ટિલેટર પૈકી ૧૪ વેન્ટિલેટર ખાલી છે. જ્યારે સરકારી ચોપડે માત્ર ૮૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે. આઈસીએમઆરે કહ્યું છે, શિયાળાનો સ્પેલ ખૂબ જોખમી છે. અમદાવાદમાં ૪થી૫ હજાર ટેસ્ટ થતાં હતા ત્યારે ૩૦૦ કરતાં વધુ દર્દીઓ આવતા હતા જ્યારે આજે હજારોની સંખ્યામાં ટેસ્ટ થાય છે. પરંતુ રેપિડ ટેસ્ટના આંકડાની કોઈ નોંધ લેવાતી નથી. સરકાર સ્મશાનના આંકડા પણ છૂપાવી રહી છે, હકીકતમાં ૮થી ૧૦ ગણા આંકડા મોતનાં જ છે.
મોઢવાડિયાએ કહ્યું, સરકાર અધિકારીઓના રવાડે ન ચઢે અને પ્રજાને સાચી માહિતી આપે કે આટલા કેસ છે, આટલા મોત થયા છે, હકીકતમાં આ અધિકારીઓને કંઈ નહીં થાય પરંતુ સરકારે પ્રજા વચ્ચે જવું પડશે. ભારતીય જનતા પાર્ટીને હું ચેતવવા માંગું છું, તમને જરૂરથી જનતા બોધપાઠ આપશે.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, સરકાર પોઝિટિવ કેસના આંકડા તો છૂપાવી જ રહી છે સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા છૂપાવી રહી છે. આ ઉપરાંત જે આંકડા સ્મશાનમાંથી આવી રહ્યા છે અને તેની સામે સરકાર કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા બતાવી રહી છે તેની વચ્ચે આઠથી દસ ગણું અંતર છે. સરકારે આ આંકડા સાચા જાહેર કરી અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ.
અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, અધિકારીઓ આંકડાઓ છૂપાવવા અંગેના સવાલ બાદ છટકબારી શોધી રહ્યા છે. ૈંછજી અધિકારી ડૉ.રાજીવ ગુપ્તાને સવાલ કર્યો તો ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને બ્લોક કર્યા. અધિકારીઓ સવાલનો જવાબ આપવાને બદલે બ્લોક કરી રહ્યા છે. શું અધિકારીની પલાયનવૃત્તિ અમદાવાદના આંકડામાં કંઈક ખોટું થતું હોવાની ચાડી ખાય છે ? સવાલ છૂપાવી શકશો મોં નહીં. અધિકારી છો, જવાબ તો આપવો જ પડશે.