સરકારના નિર્ણયથી વાલીઓ નારાજ : બેઠક બાદ વાલીમંડળ આગળ ટ્રાન્સપોર્ટેશન, લાઈબ્રેરી, કોમ્પ્યુટર, સ્પોર્ટ્‌સ, મનોરંજન સહિત કોઈ જ ઈતર ફી શાળાઓ લઈ શકશે નહીં

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩૦
કોરોનાની મહામારીને લઈ શાળાઓ બંધ છે ત્યારે તેની ફીના મામલે લાંબી લડત અને તે પછી કોર્ટની દરમ્યાનગીરી બાદ આખરે આજે ગુજરાત સરકારે રાજ્યની તમામ ખાનગી શાળાઓમાં આ વર્ષે રપ ટકા ફી રાહત આપવાનો નિર્ણય લીધો છે. વાલીઓની લાંબી લડત બાદ અને તેમની પ૦ ટકા ફી રાહતની માંગણી ધ્યાને ન લેવાના સરકારે કરેલા આ નિર્ણયથી વાલીઓ નારાજ થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં આજે શાળાઓની ફીના મામલે વિસ્તૃત ચર્ચા થઈ હતી. તે બાદ તેમાં રપ ટકા ફી રાહત આપવાનો નિર્ણય લેવાયો હતો. સરકારના આ નિર્ણય રાજ્યમાં આવેલી સીબીએસઈ, આઈબી, આઈસીએસઈ, સીએસઈ સહિતની તમામ ખાનગી શાળાઓમાં લાગુ પડશે. રાજ્યની આ તમામ શાળાઓના વાલીઓની વ્યાપક રજૂઆતને પગલે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સરકાર તરફથી ફી અંગે જાહેરાત કરતા કહ્યું કે, સ્કૂલ ફીમાં ૨૫ ટકા રાહત આપવામાં આવશે. આ ઉપરાંત જે પણ વાલીએ આ વર્ષની જે પણ ફી ભરી હોય તેમાં તેમને સરભર કરી આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, કૉંગ્રેસ ૧૦૦ ટકા ફી માફીની વાત કરે છે. મારે કૉંગ્રેસના નેતાઓને પૂછવું છે કે, કૉગ્રેસ શાસિત કયા રાજ્યમાં સ્કૂલ ફીમાં ૧૦૦ ટકા માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. પહેલા કૉંગ્રેસશાસિત પ્રદેશોમાં ૧૦૦ ટકા ફી માફીની જાહેરાત કરીને પછી ગુજરાતમાં ૧૦૦ ટકા ફી માફીની માંગણી કરે.
તેમણે અપીલ કરતા જણાવ્યું કે, મારી અપીલ છે કે, આ આંદોલન આગળ ન ચાલે, આપણને બધાને શિક્ષણનું હિત જોવાનું છે. વાલીઓ અને સંચાલકોમાં વૈમન્યસ્ય ન વધે અને વિદ્યાર્થીઓનું હિત જળવાય તેવું કરવાનું છે. હવે કેન્દ્ર સરકારે જે નવી શિક્ષણ નીતિ આપી છે તેના અમલીકરણ પર કામ કરવાનું છે. મારી વાલીઓ, સંચાલકોને અપીલ છે કે આ અંગે કોઇ વાદવિવાદ ન થાય.
ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ પટેલનું કહેવું છે કે, સરકારનાં ફેંસલા મુદ્દે અમે બેઠક બાદ નિર્ણય કરીશું કે હવે શું કરવું. વાલી મંડળના અન્ય આગેવાન કમલ રાવલનું કહેવું છે કે, સરકાર ૧૦૦ ટકા માફી આપે. ગુજરાત કોંગ્રેસનાં નેતા અને પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસે એક સત્રની ફી માફીની માંગ કરી હતી. સરકાર ખાનગી શાળાઓને ફાયદો થાય એ રીતે વર્તી રહી છે. કોર્ટે ફટકાર લગાવ્યા બાદ પણ સરકારે દિવસો બગાડ્યા અને સરકારે ૨૫ ટકા ફી જ માફ કરી એ યોગ્ય નથી. ત્રણ વર્ષમાં દક્ષિણ ગુજરાતની શાળાઓમાં ૮૮ ટકા ફી વધારો થયો છે. મધ્યગુજરાતની શાળાઓમાં ૩ વર્ષમાં ૭૭ ટકા ફી વધારો થયો. સરકાર ૨૫ ટકાને બદલે સમગ્ર એક સત્રની ફી માફી આપે. શાળા સંચાલકોને હાલ ઓનલાઇન ખર્ચ સિવાય કોઈ ખર્ચ નથી.
બીજી બાજુ મંગળવારે, એટલે ગઇકાલે, વાલી મંડળોમાં ફી ઘટાડા મુદ્દે વિખવાદ ઉભો થયો હતો. મંગળવારે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરવા ગયેલા વાલી મંડળના અગેવાનોમાં જ બે ભાગ પડી જતા ફી માફીનું કોકડું ગુંચવાયું હતું. જેમાં પ૦ ટકા તથા ૧૦૦ ટકા ફી માફીની વાલીઓ તરફથી માંગણી કરવામાં આવી હતી.