(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ સર્વદલીય બેઠકમાં કહ્યું કે વેક્સીનના સ્ટોક અને રિયલ ટાઇમ ઇન્ફોર્મેશન માટે એક ખાસ સોફટવેર તૈયાર કરાયું છે. કોવિડનું રસીકરણ અભિયાન વ્યાપક હશે. આવા અભિયાનોની વિરૂદ્ધ અફવાઓ ફેલાવામાં આવે છે. તેમણે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી કે તેઓ લોકોને રસીને લઇ જાગૃત કરે. પીએમ મોદીએ કહ્યું કે એક્સપર્ટ માને છે કે આવનારા થોડાંક સપ્તાહમાં કોવિડ વેક્સીન તૈયાર થઇ જશે. વૈજ્ઞાનિકો દ્વારા લીલી ઝંડી મળતા જ ભારતમાં રસીકરણ શરૂ કરી દેવાશે. પીએમ મોદીએ બેઠક બાદ કહ્યું કે થોડાંક દિવસ પહેલાં મારી રસી બનાવતા વૈજ્ઞાનિકો સાથે પણ વાત થઇ છે. આપણા વૈજ્ઞાનિક પોતાની સફળતાને લઇ ખૂબ જ આશ્વસ્ત છે. ભારતમાં ૮ વેક્સીન ટ્રાયલના અલગ-અલગ સ્ટેજમાં છે અને તેનું મેન્યુફેકચરિંગ ભારતમાં જ થશે. દેશની ત્રણ વેક્સીન પણ અલગ-અલગ તબક્કામાં છે. એક્સપર્ટ માને છે કે રસીકરણ વધુ દૂર નથી. વૈજ્ઞાનિક આપણને જેવી ગ્રીન સિગ્નલ આપે છે ભારતમાં રસીકરણ અભિયાન શરૂ થઇ જશે.
પીએમ મોદીએ કહ્યું કે પહેલાં તબક્કામાં હેલ્થકેર વર્કર્સ, પછી ફ્રન્ટલાઇન વર્કર્સ, અને વૃદ્ધ લોકોને અને ગંભીર બીમારીઓ સાથે જોડાયેલા લોકોને રસી લગાવાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વેક્સીનના ડિસ્ટ્રીબ્યુશનને લઇ ઝડપથી કામ કરી રહ્યા છે. ભારતની પાસે માત્ર રસીકરણમાં જ વિશેષજ્ઞતા નથી પરંતુ ક્ષમતા પણ છે. પીએમે કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે વેકસીનની કિંમત પર પણ ચર્ચા કરી રહ્યા છે અને પબ્લિક હેલ્થનું સૌથી વધુ ધ્યાન રાખતા તેના પર નિર્ણય લેવાશે. બેઠક દરમિયાન પીએમ મોદીએ રાજકીય પક્ષોને કહ્યું કે આપણે કોશિશ કરવી જોઈએ કે રસીકરણ દરમિયાન અફવા ન ફેલાય. કોરોનાની રસીના ભાવ પર રાજ્યો સાથે ચર્ચા કરવાના પીએમ મોદીના નિવેદન પરથી લાગે છે કે વેકસીન પર સબ્સિડી મળી શકે છે. નોંધનીય છે કે ભાજપે બિહાર ચૂંટણી દરમ્યાન વચન આપ્યું હતું કે જો એનડીએની સરકાર આવે છે તો રાજ્યના તમામ લોકોને કોરોનાની રસી મફ્તમાં મળશે. પીએમના આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે દેશભરમાં કોવિડ-૧૯ વેક્સીન ફ્રી થશે નહીં પરંતુ તેના પર કેટલીક સબ્સિડી આપી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા જ અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની કોરોના વેક્સીન તૈયાર કરનારી કંપનીઓની મુલાકાત લીધી હતી. કોવિડ-૧૯ વેક્સીનના વિકાસ માટે થઈ રહેલા કાર્યોનું તેમણે નિરીક્ષણ કરીને ચર્ચા કરી હતી.
Recent Comments