દિલ્હી, પંજાબ અને હરિયાણામાં બંધની વ્યાપક અસરો દેખાઇ, પ્રદર્શનકારીઓએ વાહનવ્યહાર અને રેલવે વ્યવહાર ખોરવ્યો, વિવિધ શહેરોમાં ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ રેલીઓ કઢાઇ, દેશના અનેક ભાગોમાં ભારે સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ દેખાવો યોજાયા
ટ્રાન્સપોર્ટ અને ટ્રેડ યુનિયનોએ બંધને સમર્થન આપ્યું હોવાથી દેશના મોટાભાગના રાજ્યોમાં દુકાનો-કોમર્શિયલ કોમ્પલેક્ષ બંધ રહેવા પામ્યા, મોટાભાગના રાજ્યોમાં દેખાવો યોજાયા, ખેડૂતોના સમર્થનમાં બેનરો અને પ્લેકાર્ડ પણ દર્શાવાયા
(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
કેન્દ્ર સરકાર દ્વારા લવાયેલા કૃષિ કાયદાઓને રદ કરવાની માગ સાથે દેશની સડકો પર ઉતરેલા ખેડૂતો દ્વારા મંગળવારે બોલાવાયેલા શાંતિપૂર્ણ ભારત બંધના આહવાન દરમિયાન અનેક રાજ્યોમાં જનજીવન ખોરવાયું હતું અને દુકાનો તથા કોમર્શિયલ કોમ્પલેક્ષ બંધ રહેવા પામ્યા હતા, માર્ગો પર દેખાવકારો ઉતરી આવતા વાહન અને ટ્રાન્સપોર્ટ વ્યવહાર ખોરવાયો હતો જ્યારે દેશના અનેક ભાગોમાં ટ્રેન વ્યવહારને પણ અસર થઇ હતી. ભારત બંધ દરમિયાન ઇમરજન્સી સેવાઓ અને બેંન્કિગ સેવાઓ ચાલુ રહી હતી. બંધને મોટાભાગની વિપક્ષી પાર્ટીઓએ પણસમર્થન આપ્યું હતું જ્યારે ટ્રેડ યુનિયનોને પણ ટેકો જાહેર કર્યો હતો. વિરોધ પ્રદર્શનના કેન્દ્ર બિંદુ દિલ્હી, પંજાબ અને હરિયાણામાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી. બંધને જોતાં અનેક રાજ્યોમાં ભારે સુરક્ષા ગોઠવાઇ હતી જ્યારે દિલ્હી સરહદ પર છેલ્લા ૧૨ દિવસથી દેખાવો કરી રહેલા હજારો ખેડૂતોના સમર્થનમાં અનેક લોકો આવ્યા હતા. પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં પણ દેખાવકારોએ અનેક સ્થળોએ રેલવે ટ્રેક પર ધરણા કરીને રેલવે વ્યવહાર ખોરવ્યો હતો.
દેશના બીજા રાજ્યોમાં શાંતિપૂર્ણ દેખાવો થયા હતા. રાષ્ટ્રીય પાગનગર દિલ્હીમાં બજારો ખૂલ્યા હતા પરંતુ એપ આધારિત કેબ માર્ગો પર રહી ન હતી. આ દરમિયાન સત્તાધારી આમઆદમી પાર્ટીએ આરોપ મુક્યો હતો કે, પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નજરકેદ કરી લીધા છે ત્યારે તંગદિલી છવાઇ હતી.પોલીસે આ આરોપ ફગાવ્યો હતો પરંતુ પાર્ટીએ કહ્યું હતું કે, કેજરીવાલ ખેડૂતોને સિંઘુ બોર્ડર પર મળવા જતાં હોવાથી તેમણે નજરકેદ કર્યા છે. ભારત બંધનેસમર્થન આપવા માટે કેટલાક ઓટો રિક્ષા અને ટેક્ષી યુનિયનોએ પણ માર્ગો પર વાહનો કાઢ્યા ન હતા. મંગળવારનાબંધના દિવસે સવારે ૧૧થી બપોરે ત્રણ વાગ્યા સુધી ખેડૂત સંગઠનોએ રાષ્ટ્રીય હાઇવે જામ કરવા અને ટોલપ્લાઝા કબજો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ બંધ એવા સમયે બોલાવાયો હતો જ્યારે બુધવારે મડાગાંઠ ઉકેલવા માટે કેન્દ્રના પ્રતિનિધિઓ અને ખેડૂત નેતાઓ સાથે છઠ્ઠા તબક્કાની મંત્રણા યોજાવાની છે. ઓલ ઇન્ડિયા કિસાન સભાના મહાસચિવ હન્નાન મોલ્લાહે બંધને ખેડૂતો દ્વારા બતાવેલી એકતાની તાકાત ગણાવ્યું હતું. મોલ્લાહે કહ્યું કે, અમે ત્રણેય કાયદાઓ રદ કરવાની માગ પર હજુ પણ અડગ છીએ અને તેના સિવાય કોઇ ફેરફાર અમને મંજૂર નથી, અમે અમારા આંદોલનને આગળના તબક્કા સુધી લઇ જવા માટે તૈયાર છીએ. પંજાબ અને હરિયાણામાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી જ્યારે પંજાબમાં દુકાનો, કોમર્શિયલ કોમ્પલેક્ષો ઉપરાંત ૩૪૦૦ જેટલા પેટ્રોલ પંપો બંધ રહેવા પામ્યા હતા. સવારથી જ ખેડૂતો દુકાનદારો અને વેપારીઓને તેમની દુકાનો બંધ રાખવા અપીલ કરી રહ્યા હતા. પંજાબમાં સત્તાધારી કોંગ્રેસ, આપ અને અકાલી દળે પણ બંધ તથા ખેડૂત આંદોલનને ટેકો આપ્યો છે. પંજાબના સિવિલ સચિવ સ્ટાફ એસોસિએશનના પ્રમુખ સુચૈન ખૈરાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના સમર્થનમાં પંજાબના ૫૦ હજારથી વધુ સરકારી કર્મીઓએ એકીસાથે સીએલ ભોગવી હતી. પંજાબના પાડોશી અને ભાજપ શાસિત રાજ્ય હરિયાણામાં કોંગ્રેસ અને આઇએનએલડીએ બંધને સમર્થન આપ્યું હતું. સવારથી જ ખેડૂતો બંને રાજ્યોના મુખ્ય માર્ગો અને હાઇવે પર એકઠા થઇ ગયા હતા. આ દરમિયાન બીકેયુના પ્રમુખ ગુરનામિસંહ ચારુનીએ વીડિયો મેસેજમાં લોકોને શાંતિપૂર્ણ દેખાવો કરવાની હાકલ કરી હતી.
દરમિયાન ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરો માર્ગો પર ઉતર્યા હતા અને કાયદાઓ રદ કરવાની ખેડૂતોની માગને સમર્થન આપવા સાથે સૂત્રોચ્ચારો કર્યા હતા. કેટલાક સ્થળોએ તેમની પોલીસ સાથે અથડામણ થઇ હતી. લખનઉમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની પ્રતિમા આગળ વિપક્ષી કાર્યકરોએ ધરણા કર્યા હતા. રાજ્યમાં કેટલાક સપા નેતાઓને નજર કેદ કરાયા હોવાના આરોપો પણ મુકાયા હતા. ઉપરાંત બસ્તી, બહરાઇચ, ગોરખપુર, ચંડોલી, સોનભદ્ર, ઇટાવા અને અન્ય જિલ્લાઓમાં સપા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે, પોલીસ અધિકારીઓએ સ્થિતિને શાંતિપૂર્ણ ગણાવી હતી. પશ્ચિમ બંગાળમાં તૃણમુલોંગ્રેસે કોંગ્રેસ પાર્ટી સાથે બંધને સમર્થન આપ્યું હતું પરંતુ કાર્યકરો માર્ગો પર આવ્યા ન હતા. જોકે, બંધને પગલે સામાન્ય જનજીવન ખોરવાયું હતું. બંધને બેંગ્લુરૂમાં પણ સમર્થન મળ્યું હતું જ્યાં પ્રદર્શનકારીઓએ માર્ગો પર શાકભાજી લાવીને ફેંકી હતી. બિહારમાં પણ બંધને ટેકો આપતાં દેખાવકારોએ રેલવે અને હાઇવે જામ કર્યા હતા જેના કારણે વાહન અને રેલવે વ્યવહાર ખોરવાયો હતો. બંધના સમર્થકોએ જેહાનાબાદ પાસે પટના હાઇવે પર ધરણા કર્યા હતા. ઓરિસ્સાના ભુવનેશ્વર, કટક, ભદ્રક અને બાલાસોરમાં બંધ સમર્થકોએ રેલવે ટ્રેક પર ધરણા પ્રદર્શનો કર્યા હતા. કોંગ્રેસ શાસિત છત્તીસગઢમાં પણ બંધની વ્યાપક અસર જોવા મળી હતી જ્યારે વાહન વ્યવહાર ચાલુ રહ્યો હતો. મધ્યપ્રદેશમાં પણ ખેડૂત સંગઠનો દ્વારા રેલીઓ કાઢીને વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચારો કરાયા હતા. મહારાષ્ટ્રમાં સત્તાધારી એનસીપી, કોંગ્રેસ અને એનસીપીના સંયુક્ત શાસન હેઠળ મોટા શહેરો નાસિક, પૂણે, નાગપુર અને ઔરંગાબાદમાં હોલસેલ માર્કેટ સંપૂર્ણપણે બંધ રહેવા પામ્યા હતા. અનેક શહેરોમાં રિટેલ દુકાનો પણ બંધ રહી હતી. જમ્મુમાં પણ વિવિધ સંગઠનો અને ટ્રાન્સપોર્ટરોએ બંધને ટેકો આપ્યો હતો.
Recent Comments