ગોધરા,તા.૧
કોરોના વાયરસ સામે જંગ લડી રહેલા વોરિયર પર સતત થઈ રહેલા હુમલાએ સરકારની ચિંતા વધારી દીધી છે. હવે પંચમહાલમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. ગોધરાના ગુહ્ય વિસ્તારમાં પોલીસ અને રોડ બિલ્ડિંગ વિભાગની ટીમો પર લોકોએ હુમલો કર્યો હતો. પોલીસે તોફાની તત્વો પર ટિયરગેસના સેલ છોડ્યા હતા. આ હુમલામાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી છે. પોલીસે અત્યાર સુધી ૮ લોકોની અટકાયત કરી છે.
મહત્વનું છે કે, ગઈકાલે મોડી રાત્રે ક્વોરેન્ટાઇન વિસ્તારમાં પોલીસ અને રોડ-બિલ્ડિંગ વિભાગની ટીમ બેરિકેડિંગ કરવા પહોંચી હતી. ત્યારે સ્થાનિકોએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. લોકોએ પોલીસ પર પથ્થરો અને ખુરશીથી હુમલો કર્યો હતો. પોલીસે ટિયર ગેસ છોડવાની પણ ફરજ પડી હતી. આ દરમિયાન એક પોલીસકર્મીને ઈજા પણ પહોંચી હતી. સ્થાનિક ધારાસભ્ય સીકે રાઉલજીએ પણ આ ઘટનાને વખોડી હતી. આ ઘટના બાદ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ મખથે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ૩૦ જેટલા લોકો સામે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ આઠ લોકોની પોલીસે અટકાયત કરી છે. હવે પોલીસ અન્ય લોકોની ઓળખ કરીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી રહી છે.