(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૯
કોરોનાની મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ રાજ્યમાંની છ મ્યુનિ. કોર્પોરેશન સહિતની સ્વરાજ્ય સંસ્થાઓની નવેમ્બર માસમાં યોજાવાની થતી ચૂંટણીઓ ત્રણ માસ માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયા બાદ આ સ્વરાજ્ય સંસ્થાઓની મુદ્દત થવાની હોઈ તેમાં વહીવટદાર નિમવાના થતાં હોઈ ભાજપ સત્તાધીશો દ્વારા તેને બદલે ચાલુ હોદ્દેદારોની મુદ્દત વધારવા હિલચાલ હાથ ધરવામાં આવી રહી હોવાની વિગતો સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. જો કે આવી સ્થિતિ જો ઊભી થશે તો તેને કોર્ટમાં પણ પડકારવામાં આવશે તેવી શક્યતા સ્પષ્ટ બની રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી ૩ મહિના સુધી મોકૂફ રાખવામાં આવી છે, જ્યારે મુદત પૂરી થતી જશે ત્યારે મહાપાલિકા, પાલિકા કે પંચાયતમાં વહીવટદારનું શાસન લાદવું પડશે અથવા જે ચૂંટાયેલી બોડી છે તેની ટર્મ વધારવી પડશે. આ વિકલ્પમાં રાજ્ય સરકાર હાલ વર્તમાનમાં જે સત્તામાં છે તેની મુદત વધારી દેવાની તૈયારીઓ કરી રહી હોવાનું જાણવા મળે છે. સચિવાલયના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર સ્થાનિક ચૂંટણીઓ મોકૂફ રાખવાનો નિર્ણય ચોક્કસ વિચારણા વગર જ લેવાયો હતો અને ચૂંટણીપંચને ‘સૂચના’ આપી દેવામાં આવી હતી. હવે સરકારે થોડા જ સમયમાં જ્યાં ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થાય છે ત્યાં વહીવટદાર મૂકવો કે સંસ્થાની મુદત વધારવાનો નિર્ણય લેશે, જેમાં ચાલુ બોડીની મુદત વધારવાની હિલચાલ ચાલી રહી છે. ભાજપનાં ટોચનાં સૂત્ર કહે છે, જો વહીવટદાર નિમાય તો પછી તમામ જવાબદારી ગાંધીનગર પર જ આવી જશે અને ચૂંટણી સુધી વહીવટદાર મારફત પ્રજાનાં કામો થાય એ જોવું પડશે. તેથી વહીવટદાર મૂકવાની સરકારની કોઈ દાનત નથી. છ મહાપાલિકા- ૫૫ નગરપાલિકા અને ૩૧ જિલ્લા પંચાયત તથા ૨૩૧ તાલુકા પંચાયતો પર સીધું ગાંધીનગરથી શાસન સરળ પણ નથી. ભાજપના આ નેતાએ ઉમેર્યું હતું કે આઠ માસથી ગુજરાતનું તંત્ર કોરોના સામે લડી રહ્યું છે અને હાંફી ગયું છે. તેના પર આજે નહીં તો કાલે ચૂંટણી જવાબદારી આવશે જ, એ સમયે પણ એ કેવી કાર્યક્ષમતા ધરાવતું હશે એ પ્રશ્ન છે અને ત્રણ માસ એ ખેંચવું પડશે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે અમારી ભૂમિકા ચૂંટણી યોજવા અંગેની છે. બોડીની ટર્મ વધારવી કે વહીવટદાર નિમાય એ અંગે સરકાર જ નિર્ણય કરશે. જો કે ચૂંટણી મોકૂફ રાખવાથી લઈને બોડીની મુદતમાં વધારો કે પછી વહીવટદાર શાસન, દરેકને અદાલતમાં પડકાર મળી શકે તેમ છે સરકાર પાસે જો કે હજુ નિર્ણય લેવા માટે સમય છે. કેમ કે મ્યુનિ. કોર્પો. સહિતની સ્વરાજ્ય સંસ્થાઓની મુદ્દત પૂર્ણ થવામાં હજુ વાર છે. મુદ્દત પૂર્ણ થવા અગાઉ સરકારે નિર્ણય લેવાનો છે.