(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.૧૬
સરકારની સૂચના મુજબ જૂનાગઢ જિલ્લામા પ૦ વર્ષથી વધુ વયના લોકો તેમજ ગંભીર બીમારી ધરાવતા લોકોની સર્વેની કામગીરી થઈ રહી છે. તા.૧૪ ડિસેમ્બર સુધીમાં જિલ્લામાં ર,પ૬,૧૩ર લોકોને જેમની વય પ૦ વર્ષથી વધુ છે તેમની સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. જૂનાગઢ કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા ટાસ્કફોર્સ ની મળેલ બેઠકમાં આરોગ્ય સત્તાવાળાઓના જણાવ્યા મુજબ સર્વેની બાકીની કામગીરી સત્વરે પૂર્ણ કરાશે ઉપરાંત સીધા દર્દીઓ સાથે સંકળાયેલ હેલ્થ વર્કર તબીબ કે જેમની સંખ્યા પપ૧૮ છે, તેમના ડેટા આવી ગયેલ છે અને સરકારની સૂચના મુજબ સૌપ્રથમ તેમને અપાશે. કોવિડ-૧૯ રસીના સ્ટોરેજ અને કોલ્ડ ચેઈન જાળવણી માટે જિલ્લા તેમજ તાલુકા સ્તરે પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રસીકરણ માટે ૨૪ર૮ સુપરવાઈઝર રહેશે. પ૪ સ્થળોએ સ્ટોરેજ વ્યવસ્થા કરાશે તેમજ જિલ્લામાં ૭૬૩ સ્થળો વેક્સિનેશન માટે નિયત કરાયા છે. ઉપરાંત રસીકરણ સાથે સંકળાયેલા તમામ લોકોને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતા, આરસીએચઆર ડો.ભાયા, ડો.ચંદ્રેશ વ્યાસ, ડો.રવિ ડેડાણીયા, જિલ્લા પુરવઠા અધિકારી ગોવાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પલ્લવી બારિયા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.