મોસાલી, તા.૧૪
કોસંબાથી ઉમરપાડા નેરોગેજ ટ્રેન દોડતી હતી. આ ટ્રેન ગાયકવાડ શાસનમાં શરૂં કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ટ્રેન કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના બંધ કરી દેવામાં આવી છે. ટ્રેન બંધ કર્યા બાદ રેલવે વિભાગે આ ટ્રેનના કોચ અને એન્જિનો પણ કોસંબા ખાતેથી અન્ય સ્થળે મોકલી આપ્યા છે. વળી કોસંબાથી ઉમરપાડા વચ્ચે આવતા તમામ રેલવે સ્ટેશનો જર્જરિત થઈ જવા પામ્યા છે. આ ટ્રેનની રેલવે ટ્રેકની કામગીરી માટે જે સ્ટાફ હતો. એની અન્ય સ્થળે બદલી કરી દેવામાં આવી છે. કોસંબાથી ઉમરપાડા સુધીની સમગ્ર ટ્રેક ઉપર જંગલી વનસ્પતિઓએ સામ્રાજ્ય જમાવ્યું છે. આમ આ ટ્રેકના સમારકામ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે. કોસંબાથી ઉમરપાડા સુધીનું કુલ અંતર આશરે ૬૦ કિ.મી. જેટલું છે. જો કે, આજે તારીખ ૧૪મી ડિસેમ્બરના રોજ માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી માંગરોળના મામલતદાર ડી.સી. પટેલને એક આવેદનપત્ર પાઠવી બંધ કરાયેલ આ ટ્રેનને ફરી શરૂ કરવા તથા આ ટ્રેનને બ્રોડગેજમાં રૂપાંતર કરી મહારાષ્ટ્ર સાથે જોડવા માંગ કરી છે. આ પ્રસંગે માજી પંચાયતમંત્રી રમણ ચૌધરી, શામજી ચૌધરી, એડવોકેટ બાબુ ચૌધરી, ઇરફાન મકરાણી, શાબૂદીન મલેક, રૂપસિંગ ગામીત, સંતોષ મેસુરિયા સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા.
Recent Comments