(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૫
ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વધુ એક વખત ગુજરાત પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. પીએમ મોદી તેમના પસંદગીના સ્થળ એટલે કે કેવડિયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ ખાતે લાઇટિંગ શૉ જોશે. રાત્રી દરમિયાન એ નજારો જોવાની ઈચ્છા પીએમ એ વ્યક્ત કરી છે જેને લઈને મોદી રાત્રી રોકાણ કેવડિયા ખાતે કરવાના હોવાની પ્રાથમિક માહિતી સૂત્રો જણાવી રહ્યા છે. તેઓ રાત્રે લાઈટિંગ શૉ નિહાળી કેવડિયામાં જ રોકાણ કરશે. જ્યાં પણ કેટલાક નવા પર્યટક સ્થળ વિકસાવવામાં આવ્યા છે તેને પીએમ મોદી પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકશે. કેવડિયા કોલોની જાય તે પહેલાં તેઓ અમદાવાદ આવે તેવી શક્યતાઓ છે. સિવિલ કેમ્પસ ખાતે જ યુએન મહેતા હોસ્પિટલના નવ નિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ મોદીના હસ્તે કરાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલમાં આ નવા બિલ્ડિંગની કામગીરી લગભગ પૂર્ણતાના આરે છે અને તે લગભગ ૧૫ દિવસમાં પૂર્ણ થઈ જશે.