(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૫
બોલિવૂડમાં ડ્રગ્સની ગુંજ હવે સંસદમાં પણ સાંભળવા મળી હતી. હિન્દી ફિલ્મોના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અપ-મૃત્યુથી શરૂ થયેલા વિવાદે ફિલ્મ જગતમાં સગાવાદની ચર્ચા જન્માવી હતી અને હવે આ મુદ્દો ડ્રગ્સની લત પર આવીને અટકી ગયો છે. બોલિવૂડમાં રીતસર બે ફાટા પડી ગયા છે. હવે આ વિવાદમાં હિન્દી ફિલ્મોની પીઢ અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને પણ ઝૂકાવ્યું છે. ગઈકાલે સંસદમાં ભોજપૂરી ફિલ્મોના અભિનેતા અને ભાજપના સાંસદ રવિ કિશને ફિલ્મ જગત વિશે ઘસાતું બોલતાં આજે જયા બચ્ચને તેમના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરતાં આકરી ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે થાળીમાં ખાવો છો તેમાં જ થૂંકો છો. જયાએ સરકારને અપીલ કરી હતી કે, તે બોલિવૂડની તરફેણમાં ઊભી રહે. કેટલાક લોકો સિને જગતને બદનામ કરી રહ્યાં છે. સરકારે આ મામલે દખલગીરી કરવી જોઈએ. સાંસદ જયા બચ્ચન એ બોલિવૂડની છબીને ખરાબ કરવાનો આરોપ મૂકયો છે. રાજ્યસભામાં મંગળવારે ઝીરો અવરમાં બોલિવૂડની થઇ રહેલી ટીકા વચ્ચે આ મુદ્દો ઉઠાવતા તેમણે સરકારને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની તરફેણમાં ઉભા રહેવાની અપીલ કરી.
જયા બચ્ચને કહ્યું કે જ્યારે પણ દેશમાં કોઈ સમસ્યા સામે આવે છે તો સૌથી વધુ બોલિવૂડના લોકો જ મદદ માટે ઉભા હોય છે. બોલિવૂડના જાણીતી અભિનેત્રી અને સપા સાંસદ જયા બચ્ચને ભાવુક થઈને આ મુદ્દો ઉઠાવતા કહ્યું કે તેમને ખૂબ દુઃખ થઇ રહ્યું છે કે આ ઇન્ડસ્ટ્રીઝને બદનામ કરાઈ રહી છે. લોકસભામાં સોમવારના રોજ બોલિવૂડમાં ડ્રગ્સનો મામલો ઉઠવા પર ચિંતા વ્યક્ત કરી હતી. આપને જણાવી દઇએ કે સોમવારે ભાજપના સાંસદ રવિ કિશને બોલીવુડમાં માદક દ્રવ્યોનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ કેસની તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જયા બચ્ચને તેમનું નામ લીધા વિના કહ્યું કે કેટલાક લોકો જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરી રહ્યા છે. જયાએ કહ્યું કે કેટલાંક લોકો માટે આખી ઇન્ડસ્ટ્રીઝને બદનામ કરી શકાય નહીં. વાત એમ છે કે બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ આ કેસની તપાસ ચાલી રહી છે. ડ્રગ્સ સાથે જોડાયેલા અન્ય ઘણા કેસો છે અને બોલિવૂડના ઘણા કલાકારો નિશાના પર આવી રહ્યા છે. સોમવારે ભાજપના સાંસદ રવિ કિશને લોકસભામાં ડ્રગ્સ અને બોલિવુડ કનેક્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે શૂન્યકાળ દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાન અને ચીનમાંથી ડ્રગ્સની તસ્કરી થઈ રહી છે. આ દેશની યુવા પેઢીને બરબાદ કરવાનું ષડયંત્ર છે. તેમણે કહ્યું કે આપણા ફિલ્મ ઉદ્યોગમાં તેની ઘુસણખોરી થઈ રહી છે અને એનસીબી તેની તપાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે મારી માંગ છે કે આ મામલામાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે. જયા બચ્ચનના નિવેદન પર રવિકિશનને મંગળવારે કહ્યું મને આશા હતી કે જયાજી મારુ સમર્થન કરતા હતા. ઈન્ડસ્ટ્રીમાં તમામ લોકો ડ્રગ્સ લેતા નથી, જોકે જે લોકો લે છે, તેઓ વિશ્વની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ખત્મ કરવાની યોજનાનો હિસ્સો છે. જ્યારે મેં અને જયાજીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જોઈન કરી હતી ત્યારે આવી સ્થિતિ ન હતી. જોકે આજે ઈન્ડસ્ટ્રીને બચાવવાની જરૂર છે.
Recent Comments