(સંવવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૨૦
છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની માહિતી તેના પરિવારજનોને મળતી નથી ઘણીવાર દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો કે નેગેટિવ તથા દર્દીનાં મોત સુધીની માહિતી પણ પરિવારને મળતી ન હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે મોડે મોડે પણ તંત્રને આત્મજ્ઞાન લાગ્યું હોય તેમ દર્દીઓની માહિતી આપવા માટે હોસ્પિટલમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી દર્દીની સઘળી માહિતી તેના પરિવારજનોને ફોન દ્વારા આપવામાં આવશે. આ માટે શિક્ષણ વિભાગના ૪૦ જેટલા કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને જાણકારી આપવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેના પગલે દર્દીઓની એડમીશનથી માંડીને ડિસ્ચાર્જ સુધીની સંપૂર્ણ માહિતી તેમના પરિવારજનોને મળી રહેશે, તેમ સમગ્ર રાજ્યમાં કોરોના સંદર્ભની દેખરેખની કામગીરી-જવાબદારી જેમને સોંપાઇ છે તેવા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનો માહિતીના અભાવે ક્યારેક ચિંતા-તણાવ અનુભવે તે સ્વાભાવિક છે. આવા સમયે તંત્ર દ્વારા એક આવકારદાયક આ પગલું ભરવામાં આવ્યું છે. કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર તૈયાર કરતા પૂર્વે કર્મચારીઓને વર્કશોપનું આયોજન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શક વર્કશોપમાં મહેસુલ વિભાગના અધિક સચિવ પંકજકુમાર ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સેન્ટરમાં કામ કરનારા કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરી જરૂરી સૂચનો કર્યા હતા. ટ્રેનિંગ વર્કશોપ દરમિયાન સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો.મોદી ૧૨૦૦ બેડ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ.સંજય સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
દર્દીના પરિવારજનોને માહિતી આપવા અમદાવાદ સિવિલમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ શરૂ કરાયો

Recent Comments