(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
અમેરિકાએ કોરોના વાયરસની ભયાનકતાને જોઇને રાષ્ટ્રીય કટોકટી જાહેર કર્યા બાદ ભારત સરકારે પણ આજે આ રોગને “રાષ્ટ્રીય મહામારી” તરીકે જાહેર કરતાં સમગ્ર દેશમાં હવે તેના સામના માટે વહીવટી તંત્ર ખાસ કરીને આરોગ્ય તંત્રને વધારે સજાગ કરી દેવામાં આવ્યું છે. અને મહામારી જાહેર કરતાં કોરોનાની બિમારીને ઇમરજન્સીનો દરજ્જો આપતાં કોરોનાને કારણે મરનારાઓના પરિવારજનોને સહાય પેટે ૪ લાખ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. દેશના ૧૩ રાજ્યોમાં હાલમાં ૯૧ કેસ પોઝીટીવ અને બે મોત થયા છે. સંખ્યાબંધ રાજ્યોએ લોકોને તેનાથી બચાવવા શાળા કોલેજો, સિનેમાગૃહો વગેરે પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. તો વિશ્વમાં આ રોગથી મરનારાઓની સંખ્યા ૫ બજારથી ઉપર પહોંચી ગઇ છે. ૧૨ રાજ્યોમાં સ્કૂલ-કોલેજ બંધ કરી દેવામાં આવી છે, ૩ એપ્રિલ સુધી ચાલનાર સંસદનું બજેટ સત્ર ૧૮ માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવે તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારે કોરોના વાઈરસની વધતી અસરને ધ્યાનમાં રાખીને દ્ગ-૯૫ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને જરૂરિયાતની વસ્તુની કેટેગરીમાં મૂકીને તેના કાળાબજાર કરનારાઓ સામે જેલની સજા સહિતના કડક પગલા ભરવાની જાહેરાત પણ કરી છે. બીજી તરફ આરોગ્ય નિષ્ણાતોના મતે કોરોના રોગચાળાની સ્થિતિને જોતાં બે મોત થતાં ભારત આ રોગના બીજા તબક્કામાં પહોંચી ગયું છે. અને તેને ત્રીજા તબક્કામાં જતાં રોકવા આગામી ૩૦ દિવસ ભારત માટે આ રોગને રોકવા માટે કટોકટીના સાબિત થશે. ત્રીજો તબક્કો એટલે ચીન-ઇટાલી જેવી ભયાનક પરિસ્થિતિનો તબક્કો જેમાં મોતની સંખ્યા સૌથી વધારે મનાય છે. તેથી ભારત સરકારે વધુ મોત અટકાવવા તેને રાષ્ટ્રીય આપત્તિ કે મહામારી જાહેર કરીને સૌ કોઇને તેનાથી બચવાની અપીલ પણ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૩ એપ્રિલ સુધી ચાલનાર સત્ર ૧૮ માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવે તેવી શક્યતા છે. ત્રણ સાંસદોએ પીએમને પત્ર લખીને સત્ર સમાપ્ત કરવાની માંગણી કરી છે.
ભારતમાં કોરોનાના ૮૯ કેસ સામે આવ્યાં છે જેમાંથી બે લોકોના મોત નિપજ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કોરોનાથી ઈન્ફેક્ટેડ ૧૦ લોકો અત્યાર સુધી સાજા થઈ ગયા છે. તેમાં ઉત્તર પ્રદેશના ૫, કેરળના ૩, રાજસ્થાન અને દિલ્હીના ૧-૧ દર્દી સામેલ છે. સારવાર પછી તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના ૯૧ કેસમાંથી દિલ્હીમાં કોરોના વાયરસના ૬, હરિયાણામાં ૧૭, કેરળમાં ૨૨, રાજસ્થાનમાં ૩, તેલંગાણામાં એક, ઉત્તર પ્રદેશમાં ૧૧, લદ્દાખમાં ૩, તમિલનાડુમાં એક, જમ્મુ કાશ્મીરમાં ૨, પંજાબમાં એક, કર્ણાટકમાં ૭, આંધ્રપ્રદેશમાં એક કેસ અને મહારાષ્ટ્રમાં ૨૦ કેસ સામે આવ્યાં છે. ચીનના વુહાનથી શરુ થયેલા કોરોનાએ દુનિયાના ૧૨૭ દેશોમાં પગપેસારો કર્યો છે.