ખંભાળિયા, તા.રપ
ગુજરાતમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯નું મતદાન તા.૨૩/૦૪/૨૦૧૯ના રોજ યોજાનાર છે. જે અંતર્ગત જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટે મતદાન કરવા સબંધિત સવલતો પુરી પાડવા તેમજ જિલ્લામાં સમાવિષ્ટ બન્ને મતદાર વિભાગોમાં આગામી ચુંટણીમાં મતદાનની ટકાવારી વધે, મહિલાઓમાં વિશેષ જાગૃતિ આવે તેમજ ઓછું વોટીંગ થયેલ બુથો પર મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા માટે કલેકટર કચેરી સભાખંડમાં કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને સ્વીપ કોર કમિટીના નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. કલેકટરએ જણાવ્યું હતું કે વધુમાં વધુ લોકો મતદાન કરે તેવો ઉદેશ સ્વીપનો રહેલો છે. તેમણે ગત લોકસભા સામાન્ય ચુંટણીમાં જિલ્લામાં ૫૦ ટકા કરતા ઓછું મતદાન થયેલ બુથોની માહિતી આપી આવા બુથો પર મતદાન જાગૃતિના ખાસ કાર્યક્રમો યોજવા જણાવ્યું હતું તેમજ જયાં મહિલા મતદારોનું ઓછું વોટીંગ થયેલ હોય તેવા બુથો પર પણ કાર્યક્રમો કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત મમતા દિવસ, સ્કુલોમાં વાલી મીટીંગ વગેરેમાં મહિલાઓમાં મતદાન પ્રત્યે વધારે જાગૃતિ આવે તે માટે પ્રેરીત કરવા જણાવ્યું હતું. કલેકટરએ પ્રાંત અધિકારીઓને જીલ્લામાં ઓછું મતદાન થયેલા બુથની મુલાકાત લઇ મતદાન ઓછું થવાના કારણો જાણવા જણાવ્યું હતું. આ બેઠકમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી ઉંઘાડે ‘‘૨૩મી એપ્રિલે વોટ કરશે ગુજરાત’’ના સ્લોગનને હાઇલાઇટ કરવા માટે દરેક સરકારી કચેરીના કાગળોમાં આ મેસેજ કન્વે થાય, દરેક બેંકના એટીએમ, બસ સ્ટેન્ડ, સરકારી બસો, નગરપાલિકાના વાહનો પર તેમજ જાહેર સ્થળોએ આ સ્લોગનના સ્ટીકરો લગાવવાની વ્યવસ્થા કરવા તેમજ મતદાન અંગેના પેમ્પલેટ વિતરણ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ ઉપરાંત ગેસ સીલીન્ડર પર મતદાન જાગૃતિના સ્ટીકર લગાવવા માટેની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, ડીઆરડીએના નિયામક વાઘેલા, પ્રાંત અધિકારી જોશી, વિઠલાણી તેમજ જિલ્લાની સ્વીપ કોર કમીટીના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.