અમદાવાદ,તા.૧ર
રાજય ચૂંટણી આયોગ દ્વારા આજરોજ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુલતવી રાખવાની જે જાહેરાત કરવામાં આવી છે. તે સંદર્ભે બહાર પાડેલા જાહેરનામામાં પેરા ર૧.૧માં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગુજરાત હાઈકોર્ટમાં જે રીટ પીટિશન દાખલ કરી છે તેનો પણ ઉલ્લેખ કર્યો છે. એટલે કે ચૂંટણી મુલતવી રાખવાની ધારાસભ્ય શેખની મહેનત રંગ લાવી છે. ગુજરાતમાં કોરોનાની મહામારી ગંભીર રૂપ લઈ રહી છે ત્યારે આવા કપરા કાળમાં રાજય ચૂંટણી આયોગ દ્વારા ૬ મહાનગરપાલિકા, પ૬ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ર૩૧ તાલુકા પંચાયતની આગામી ઓકટોબર અને ડિસેમ્બરમાં સામાન્ય ચૂંટણી યોજવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આથી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા રાજય ચૂંટણી કમિશનરને તા.૧૭-૯-ર૦ર૦ના રોજ રૂબરૂ મળી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવા અપીલ કરી હતી અને જો ચૂંટણી મોકૂફ નહીં રખાય તો નાછુટકે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવા પણ જણાવ્યું હતું. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની તા.૧૭-૯-ર૦ર૦ની રજૂઆતના અનુસંધાને આજે રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ ત્રણ માસ સુધી મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રાજય ચૂંટણી આયોગ દ્વારા થયેલ જાહેરાતને કારણે કરોડો મતદારો, અધિકારીઓ અને ચૂંટણી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ કોરોનાના સંક્રમણથી બચી શકશે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ઈલેકશન કમિશન, ગુજરાત સરકાર સહિત અન્ય લોકો સામે રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુલતવી રાખવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પીટિશન કરાઈ હતી, જેની સુનાવણી આગામી તા.૧૬-૧૦-ર૦ર૦ને શુક્રવારના રોજ થશે.