દિવાળીના તહેવારોમાં કોરોનાના કેસોમાં થયેલ વધારાનો બોધપાઠ લેતાં સરકાર બની કડક !
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૩
રાજ્યમાં કોરોના મહામારીમાં અગાઉ દિવાળીના તહેવારોમાં કેસોનો વધારો થતાં સ્થિતિ વણસી હતી. ત્યારે હવે તેનાથી બોધપાઠ લઈને રાજ્ય સરકારે આગામી તહેવારો નાતાલ અને નવા વર્ષ દરમ્યાન લોકોની ભીડને લઈ ફરી એવી કોઈ સ્થિતિ ન સર્જાય તે માટે કોરોનાની ગાઈડલાઈન અને એસઓપીના કડક અમલ માટે નિર્દેશો જારી કર્યા છે. આ દરમ્યાન રાજ્યમાં કોઈ જાહેરસભા, પ્રાર્થના, રેલી કે શોભાયાત્રા કાઢી શકાશે નહીં. તેમજ અન્ય સૂચનાઓનું પાલન કરવાની સૂચનાઓ અપાઈ છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, આગામી સમયમાં નાતાલ અને નવા વર્ષના તહેવારો આવી રહ્યા છે ત્યારે આ તહેવારો દરમ્યાન પણ સંક્રમણનું પ્રમાણ વધે નહીં તે માટે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલ ર્જીંઁનું રાજ્યમાં ચુસ્તપણે અમલ કરાશે. સંબંધિતોને આ અંગે જરૂરી સૂચનાઓ પણ જારી કરી દેવાઈ છે. મંત્રીએ ઉમેર્યું કે, કોવિડ-૧૯ સંદર્ભે સુપ્રીમ કોર્ટ દ્વારા જે દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે, જેમાં જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં હોય તેવા સ્થળો જેમ કે, શાકમાર્કેટ, જથ્થાબંધ વેપાર તથા હરાજીના સ્થળો, ખાણી-પીણીના સ્થાનો, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર કોવિડ-૧૯ સંબંધિત સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે માટે વધારાના પોલીસ દળને તહેનાત કરવામાં આવશે. એજ રીતે જાહેર સ્થળોએ કોઈપણ પ્રકારની ઉજવણી કે લોકો એકત્ર થાય તેવા પ્રસંગો અંગે સ્થાનિક વહીવટીતંત્રએ ખાસ કિસ્સા સિવાય મંજૂરી આપવાની રહેશે નહીં. ખાસ સંજોગોમાં મંજૂરી અપાયેલ હોય તો આ પ્રસંગો દરમિયાન કોવિડ-૧૯ના સંબંધિત સૂચનાઓનું ચુસ્તપણે અમલ થાય તથા નિયત સંખ્યામાં જ આવો પ્રસંગ પૂર્ણ થાય તે અંગે વ્યવસ્થા ગોઠવવાની રહેશે. આ ઉપરાંત માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવશ્યક સેવા સિવાયની તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવામાં આવશે. વધુમાં ઉમેર્યું કે, કેન્દ્રના ગૃહમંત્રાલય દ્વારા તથા રાજ્ય સરકારના ગૃહ વિભાગના હુકમોથી તહેવારોની ઉજવણી/ધાર્મિક કાર્યક્રમો બાબતે સૂચનાઓ આપવામાં આવેલ છે. જે સૂચનાઓ આગામી સમયમાં આવનાર તહેવારો જેવા કે નાતાલની ઉજવણી, નવા વર્ષની પૂર્વ સંધ્યા, નવા વર્ષની ઉજવણી અંગે પણ અમલ કરાશે. ચર્ચ/પ્રાર્થના સ્થળોએ પણ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા અથવા ૨૦૦ વ્યક્તિઓ બેમાંથી જે ઓછું હોય એટલી સંખ્યામાં વ્યક્તિઓ હાજર રહી શકશે. તથા તહેવારોની ઉજવણી કે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત જાહેરમાં કોઈ સભા, પ્રાર્થના, રેલી કે શોભાયાત્રા કાઢી શકાશે નહીં.
Recent Comments