(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૮
રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલ કરવા તંત્ર દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે. હાલ પરપ્રાંતિયોને તેમના વતન મોકલવાનું શરૂ કરી દેવાયું છે. ત્યારે જે પરપ્રાંતિયો રાજસ્થાન જવા નીકળ્યા છે તે તમામને અપીલ છે કે, રાજસ્થાન બોર્ડર સીલ કરાઇ છે એટલે પ્રવેશ મળશે નહીં સંબંધિત જિલ્લા કલેક્ટર કે ગૃહ વિભાગની મંજૂરી હશે તો જ પ્રવેશ મળશે, એ સિવાય પ્રવેશ મળશે નહીં એટલે પરપ્રાંતિયોએ ત્યાં જવું હિતાવહ નથી. તેવી જ રીતે આંતર જિલ્લા હેરફેર માટે પણ માત્ર અધિકૃત પાસના આધારે જ હેરફેર થઈ શકશે. એટલે કોઈએ પાસ વગર નીકળવું નહીં. પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. ગઈકાલે અમરેલી જિલ્લાના લાઠી ખાતે નકલી પાસ બનાવીને અમરેલીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં બે વ્યક્તિઓ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ પણ કરી દેવાઈ છે, એમ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણથી બચવા માટે રાજ્યના નાગરિકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને આદત બનાવી જીવન શૈલીનો ભાગ બનાવશે તો ચોક્કસ સંક્રમણથી બચી શકાશે. રેડ ઝોનના કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં લૉકડાઉનનો સજ્જડ અમલ કરાવવામાં આવી રહ્યો છે તે જ રીતે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે તેમાં પણ ચુસ્ત અમલ થઈ રહ્યો છે ત્યારે લોકહિતને ધ્યાને લઇને રાજ્ય સરકારે જે ગાઈડલાઈન બનાવી છે તેમાં નાગરિકો સહયોગ આપે તે જરૂરી છે. આમ નહીં થાય તો પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે એટલે અનિવાર્ય કારણોસર નાગરિકો બહાર ન નીકળે.
તેમણે ઉમેર્યું કે, લૉકડાઉનના ભંગ સંદર્ભે ૧૦૦ નંબર પર કે પોલીસ કંટ્રોલ રૂમ પર સતત મોનિટરિંગ કરીને તેમાં મળેલી માહિતીના આધારે ગુનો નોંધવામાં આવી રહ્યા છે. ગઈકાલે ૧૦૦ નંબર પર ૭૨ ફરિયાદો મળી હતી તે તમામની સામે ગુના નોંધવામાં આવ્યા છે. સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકો દ્વારા સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ છે ત્યારે હોમ ક્વોરન્ટાઈનમાં રહેતા લોકો પણ બહાર ન નીકળે એટલું જ જરૂરી છે. આવા લોકો બહાર નીકળશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરાશે. હોમ ક્વોરન્ટાઈનવાળા લોકો બહાર દેખાય તો નાગરિકો પોલીસને જાણ કરશે તો ચોક્કસ તેમની સામે પગલાં લેવાશે.
પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર અને વેચાણ પર પોલીસ સતત ચાંપતી નજર રાખી રહી છે અને આવી બાબત ધ્યાને આવશે તો તેમની સામે ગુનો નોંધાશે. ગઈકાલે દૂધના કેનમાં પાન-મસાલાની હેરફેર સંદર્ભે રાજકોટ ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. આવશ્યક સેવાઓનો દુરૂપયોગ ન થાય તે માટે પણ પોલીસ સચેત છે.
અંતમાં ડીજીપી ઝાએ કહ્યું કે, લૉકડાઉન સંદર્ભે પોલીસ કર્મીઓ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમાં સંક્રમિત થયેલા તમામ પોલીસકર્મીઓની તબિયત સારી છે. ૬૭ પોલીસકર્મીઓ કોરોનાનો ભોગ બન્યા હતા તે સ્વસ્થ થઈ ગયા છે અને તકેદારીના ભાગરૂપે ૬૦૧ જેટલા કર્મીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ હતા તે તમામ લોકો ક્વોરન્ટાઈન સમય પૂર્ણ કર્યો છે અને સંપૂર્ણ સ્વસ્થ છે.
પાસ વિના આંતર જિલ્લામાં હેરફેર કરી શકાશે નહીં : રાજસ્થાન બોર્ડર સીલ

Recent Comments