મતદારો સાથે સંપર્ક કરવામાં કાર્યકરોએ જે કામ કર્યું છે તેનું પરિણામ : સી.આર.પાટીલ

અમદાવાદ, તા.૧૦
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસની કારમી હાર થઈ છે. ત્યારે ચૂંટણીના પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે પેટાચૂંટણીનું પરિણામ વર્ષ ર૦રરની વિધાનસભા ચૂંટણીનું ટ્રેલર છે. કોંગ્રેસ ચૂંટણીમાં ખૂબ આક્ષેપો કર્યા છે પરંતુ પ્રજાયે કોંગ્રેસને સ્થાન દેખાડી દીધું છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મતદારો સાથે સંપર્ક કરવામાં કાર્યકરોએ જે કામ કર્યું તેનું આ પરિણામ છે. રાજ્યમાં પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ગુજરાતની તમામ ૮ બેઠકો પર પેટાચૂંટણીના પરિણામમાં ભાજપ વિજય ભણી છે. ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું કે ‘આવનારા દિવસોમાં હવે ભાજપના ૧૧૧ ધારાસભ્યો થઈ જશે, પ્રજા જાણે છે અને તેના કારણે જ કૉંગ્રેસની આવી હાલત છે.’ ‘પેટાચૂંટણીના આ પરિણામો વર્ષ ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગર પાલિકાની ચૂંટણીનું આ પરિણામ છે. કૉંગ્રેસે આ ચૂંટણીમાં ખૂબ આક્ષેપો કર્યા છે પરંતુ પ્રજાએ કૉંગ્રેસને સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છીએ.” જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું કે “કોઈ એક મુદ્દા પર ચૂંટણી જીતી શકાતી નથી. પરંતુ અમે પેજ કમિટિને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. અમે લોકો સુધી પહોંચવા માટે લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવો અને કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તે ખૂબ મહત્ત્વનો ભાગ છે. વડાપ્રાન મોદીનો જે કામ કરવાની પદ્ધતિ છે. તેમના દ્વારા બનેલી યોજનાઓ દરેક તબક્કાને મળે તેવું કામ કર્યુ છે. મતદારો સાથે સંપર્ક કરવામાં કાર્યકરોએ જે કામ કર્યુ છે તેનું આ પરિણામ છે.”
‘‘મુખ્યમંત્રી રૂપાણીએ તેમના મુખ્યમંત્રી પદ પર સર્જાયેલા સવાલ અંગે જણાવ્યું કે તમે જેના ખિલ્લે કૂદો છો એનું અસ્તિત્વ જ કઈ નથી. સમગ્ર દેશમાં ભાજપ આગળ વધી રહ્યું છે. જે વલણ છે તે મુજબ કૉંગ્રેસ પાસે લોકો વચ્ચે જવાનો સમય નથી. કૉંગ્રેસનો જાકારો છે. આ વિજય જનતાનો વિજય છે.