(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૩
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ નગરમાં પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વ. અટલબિહારી બાજપેયીની પ્રતિમાનું ગાંધીનગરથી ઇ-અનાવરણ કરતાં અટલજીના રાષ્ટ્ર સમર્પિત ભાવને આજની યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આણંદ નગરપાલિકા આયોજિત વિકાસ ઉત્સવમાં આણંદ શહેર માટે કુલ રૂ. ૪ર કરોડના વિવિધ વિકાસ કામોના ઇ-લોકાર્પણ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યા હતા.
તેમણે આણંદમાં ગટરના ગંદા પાણીના શુદ્ધિકરણ માટેના બે એસ.ટી.પી. પ્લાન્ટ, આશ્રય વિનાના ગરીબોને રહેવા માટેના પંડિત દિનદયાળ ઉપાધ્યાય આશ્રય સ્થાન શેલ્ટર હોમના પણ લોકાર્પણ વિડીયો કોન્ફરન્સથી કર્યા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું કે, અટલબિહારીએ સ્વરાજ્ય પછી દેશમાં સુરાજ્ય સુ-શાસનની નવી દિશા તેમના શાસનકાળ દરમ્યાન પ્રસ્થાપિત કરી હતી. મુખ્યમંત્રીએ આણંદ નગરમાં ગટરના ગંદા પાણીને શુદ્ધ કરી તેના પૂનઃ વપરાશ માટેના બે એસ.ટી.પી.થી આવા પાણીને ઊદ્યોગ, ખેતી અને તળાવોમાં આપીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાની દિશામાં ઉપયોગમાં લેવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નગરો-ગામોમાં હરેક ઘરને નલ સે જલ અન્વયે પીવાનું શુદ્ધ ફિલ્ટર વોટર આપવાની કામગીરી પણ વેગવંતી બની છે અને આણંદ પણ તેમાં અગ્રેસર રહે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. વિજય રૂપાણીએ રાજ્યના નગરોમાં ગટર, લાઇટ, પાણી, રસ્તા જેવી પાયાની સુવિધાઓ આપી નગરોમાં ઇઝ ઓફ લિવીંગ દ્વારા માણવાલાયક-રહેવાલાયક નગરો બનાવવા આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે તેની પણ ભૂમિકા આપી હતી. આણંદના સાંસદ મિતેષ પટેલ, નગરપાલિકા પ્રમુખ કાંતિ ચાવડા, ઉપપ્રમુખ અમીબેન દણાક, જિલ્લાર કલેકટર આર. જી. ગોહિલ, જિલ્લાચ અગ્રણી મહેશ પટેલ, સુભાષ બારોટ, રમણ સોલંકી, સુરેશ પટેલ, શહેર મામલતદાર કેતનભાઇ રાઠોડ, ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ, પૂર્વ પ્રમુખ વિજય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ, વિવિધ સમિતિના ચેરમેનો, કાઉન્સિલરો, નગર સેવા સદનના પદાધિકારીઓ અને અધિકારીઓ આ અવસરે આણંદથી જોડાયા હતા.