(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
આતંકવાદ સામેની લડાઇના પ્લેફોર્મ અને ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને પ્રોત્સાહન આપવાના મતદાનમાં ભારતની ૧૮૪ મતો સાથે ભારે બહુમતી સાથે સુરક્ષા પરિષદમાં પસંદગી થઇ છે. ચીન સાથે લદ્દાખમાં થયેલા વિવાદની પૃષ્ઠભૂમિની વિરૂદ્ધ બુધવારે આ ચૂંટણી યોજાઇ હતી જે મુદ્દાની ચર્ચા આગામી જાન્યુઆરીમાં કરાય તેવી શક્યતા છે. એશિયા પેસિફિકના ૫૫ દેશોએ ભારે બહુમતી સાથે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થામાં ભારતને સ્થાન અપાવ્યું છે. જ્યારે ચીન અને પાકિસ્તાને પણ ભારત તરફી મતદાન કર્યું હતું. ૧૯૩ સભ્યોની પરિષદમાંથી ૧૯૨ દેશોએ મતદાન કર્યું હતું જેમાં આઠ દેશોએ ભારત તરફી મતદાન કર્યું ન હતું પરંતુ એશિયામાંથી ભારતનો કોઇ વિરોધ થયો ન હતો.
ભારત ૮મી વાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યું છે. નિર્વિરોધ ચૂંટાઈ આવ્યાં બાદ હવે ભારત ૨૦૨૧-૨૦૨૨ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ સંસ્થાનો અસ્થાયી સભ્ય બન્યું. ૧૯૩ સભ્યની સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પોતાના ૭૫મા સત્ર માટે અધ્યક્ષ, સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યો અને આર્થિક તથા સામાજિક પરિષદના સભ્યો માટે ચૂંટણી યોજી હતી. ભારતની સાથે સાથે આયરલેન્ડ, મેક્સિકો અને નોર્વેને પણ સુરક્ષા પરિષદમાં એન્ટ્રી મળી છે. જ્યારે કેનેડાએ બહાર રહેવું પડશે.
આ અગાઉ ૧૯૫૦-૫૧, ૧૯૬૭-૬૮, ૧૯૭૨-૭૩, ૧૯૭૭-૭૮, ૧૮૮૪-૮૫, ૧૯૯૧-૯૨, અને ૨૦૧૧-૧૨માં ભારત આ જવાબદારી નિભાવી ચૂક્યું છે. સુરક્ષા પરિષદમાં હાજરીથી કોઈ પણ દેશનો યુએન પ્રણાલીમાં હસ્તક્ષેપ અને દબદબાનો દાયરો વધી જાય છે. આવામાં ૮ વર્ષ બાદ ભારતનું સુરક્ષા પરિષદમાં પહોંચવું ખુબ મહત્વ ધરાવે છે.
જીત બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિએ કહ્યું કે ભારત નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે અને એક સારી બહુપક્ષીય વ્યવસ્થાને નવી દિશા આપશે. ભારતને ૧૯૨ બેલેટ મતમાંથી ૧૮૪ મત મળ્યાં. તિરૂમૂર્તિએ કહ્યું કે હું ખુબ ખુશ છું કે ભારતને વર્ષ ૨૦૨૧-૨૨ માટે ેંદ્ગજીઝ્રના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટી લેવાયુ છે. ભારતને ભારે સમર્થન મળ્યું છે અને સંયુક્ત રાષ્ટ્રના સભ્યોએ જે વિશ્વાસ જતાવ્યો છે તેનાથી વિનમ્ર મહેસૂસ કરી રહ્યો છું. તેમણે કહ્યું કે, ’ભારતનું સિક્યુરિટી કાઉન્સિલમાં ચૂંટાઈ આવવું એ પીએમ નરેન્દ્ર મોદીના વિઝન અને વૈશ્વિક નેતૃત્વને મજબુત બનાવે છે, ખાસ કરીને કોરોના મહામારીના સમયમાં. ભારત એક મહત્વના સમયે સુરક્ષા પરિષદનો સભ્ય બન્યું છે. અમને ભરોસો છે કે કોવિડ ૧૯ દરમિયાન અને કોવિડ બાદની દુનિયામાં ભારત હંમેશા નેતૃત્વ પ્રદાન કરશે અને સારી બહુપક્ષીય વ્યવસ્થાને નવી દિશા આપશે. ભારત હવે વીટો પાવર વિના બિન કાયમી સભ્ય તરીકે પોતાની બે વર્ષની આઠમી ટર્મ માટે સેવા આપશે. ભારત વર્ષના અંતમાં કાર્યકાળ સમાપ્ત થતા ઇન્ડોનેશિયાનું સ્થાન લેશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત વિયેતનામ સાથે બીજું બિનકાયમી સભ્ય બનશે. લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોમાંથી મેક્સિકોએ ૧૮૭ મતો સાથે સ્થાન મેળવ્યું છે. સુરક્ષા પરિષદની ૧૦ બિન કાયમી બેઠકોને પાંચ પ્રાંતિય ગ્રૂપમાં વહેંચવામાં આવે છે અને વૈકલ્પિક વર્ષો માટે ખાલી થનારા પાંચ દેશો માટે દર વર્ષે મતદાન થાય છે. પરંતુ ત્રણ અન્ય દેશો માટે પણ મતદાન થાય છે. જોકે, કેનેડાને આ યાદીમાં સ્થાન મળી શક્યું ન હતું અને જસ્ટિન ટ્રુડોની આગેવાનીવાળા દેશને માત્ર ૧૦૮ મતો મળ્યા હતા. બે અન્ય બેઠકો માટે નોર્વેને ૧૩૦ અને આયર્લેન્ડને ૧૨૮ મતો સાથે સ્થાન મળવા પામ્યું છે. આ બેઠક જીતવા માટે બે તૃતિયાંશ બહુમતી મળવી જોઇએ પરંતુ કેન્યાને જરૂરી ૧૧૪માંથી ૧૧૩ મતો મળ્યા હતા અને જિબૌતીને ૭૮ મતો મળતા બંને દેશો આ યાદીમાં સ્થાન પામી શક્યા ન હતા.અંતિમ ઘડીના દાવામાં તિરૂમૂર્તિએ જણાવ્યું હતું કે, સુરક્ષા પરિષદમાં ભારતની હાજરી દુનિયા એક પરિવાર છે ‘વસુધૈવ કુટુંબકમ’ની અમારી ભાવના દુનિયાને નજીક લાવવામાં મદદ કરશે.
‘વિશ્વની શાંતિ અને સમૃદ્ધિ માટે ભારત કામ કરશે’ : UNSCના સભ્યપદ અંગે અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા પરિષદના ભારતના સભ્યપદને સમર્થન બદલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘ભારત વિશ્વની શાંતિ તથા સમૃદ્ધિ માટે કામ કરશે.’ કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના ટિ્વટમાં જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સભ્યપદને નિર્વિરોધ સમર્થન કરવા બદલ સભ્ય દેશોનો આભારી છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત તથા દૂરંદેશી નેતાગીરી હેઠળ ભારત તેના ‘વસુધૈવ કુટુંબકમ’ના મંત્રને જાળવી રાખશે અને વિશ્વની શાંતિ તથા સમૃદ્ધિ માટે કામ કરતું રહેશે.
ભારત- ચીન વચ્ચે મેજર જનરલ સ્તરની
મંત્રણા બીજીવાર નિષ્ફળ નિવડી
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ મુદ્દે ગુરૂવારે પણ બંને દેશો વચ્ચેની મેજર જનરલ સ્તરની મંત્રણા પરિણામ વિના જ સમાપ્ત થઇ ગઇ હતી. સૂત્રો અનુસાર ભારત અને ચીનના મેજર જનરલ સ્તરના અધિકારીઓ વચ્ચે ગુરૂવારની વાતચીત પણ સમાપ્ત થઇ ગઇ હતી પરંતુ આમાં બંને પક્ષો કોઇ પરિણામ પર પહોંચી શક્યા ન હતા. આ પહેલા બુધવારે બંને દેશો વચ્ચે થયેલી પ્રથમ તબક્કાની વાતચીત પણ કોઇ પરિણામ વિના જ સમાપ્ત થઇ ગઇ હતી. આ વાતચીત એ ક્ષેત્રમાં જ થઇ રહી છે જ્યાં સોમવારે રાતે ભારતીય અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. આ અથડામણમાં એક કર્નલ સહિત ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતા. અહેવાલો અનુસાર ચીનના પણ આશરે ૪૫ સૈનિકો આ અથડામણમાં મોતને ભેટ્યા હતા. સૂત્રો અનુસાર હાલ આ ક્ષેત્રમાંથી ચીનના સૈનિકો બહાર થયા હોવાના કોઇ સંકેત નથી. આ ક્ષેત્ર પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી)ની પાસે છે. હિંસક અથડામણ મુદ્દે બુધવારે ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે ફોન પર વાતચીત થઇ હતી. આ વાતચીતમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના ચીનના સમકક્ષ વાંગ યીને જણાવ્યું હતું કે, ચીનના સૈનિકોએ પૂર્વનિયોજિત અને યોજનાબદ્ધ રીતે કાર્યવાહી કરી જે સીધી રીતે લદ્દાખની ગલવાન વેલીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણનું કારણ બની હતી.
Recent Comments