ભાવનગર, તા.૪
દેશમાં ડગલેને પગલે મોંઘવારી વધતી જાય છે અને લોકોને જીવનનિર્વાહ ચલાવવા હવે અત્યંત મુશ્કેલ બની ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર હોય, ત્યારે ફક્ત ભારતમાં જ પેટ્રોલ-ડીઝલમાં અસહ્ય ભાવવધારો કરી અને આમ જનતાની કમર તોડી નાખવામાં આવી છે. સરકાર ધારે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલ પરની રોયલ્ટી તથા જીએસટી ઘટાડીને લોકોને રાહત આપી શકે પરંતુ સરકારની નિયત ના હોય, તેમજ કોરોનાની વિષમ પરિસ્થિતિમાં લોકોને જીવનનિર્વાહ ચલાવો મુશ્કેલ બની ગયો હોય આવા સમયે સંજોગોમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને લઇને જીવન જરૂરી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. સરકાર દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવ ૩૨૫ રૂપિયાથી લઈને આજે ૭૦૦ રૂપિયા કરતા વધુ થઈ ગયા છે, ત્યારે સરકાર દ્વારા અસહ્ય મોંઘવારીમાં જીવન જરૂરી વસ્તુઓના ભાવોમાં કાબૂમાં લેવામાં આવે અને મોંઘવારીથી લોકોને રાહત મળે તેવા પગલાં ભરવાની માંગ સાથે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભાવનગર શહેર કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા ભાવનગર જશોનાથ સર્કલથી સાઈકલ, ઘોડાગાડી જેવા પેટ્રોલ-ડીઝલ વિનાના વાહનો લઇ રેલી યોજી હતી અને કલેકટરને મોંઘવારી મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું હતું.