ભાવનગર, તા.૨૯
ભાવનગર સહિત રાજ્યભરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી ફેબ્રુઆરી માસમાં ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ તેવી શક્યતાઓ છે.
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે તેમજ ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ થતાં પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ, તકલીફોને વાચા આપવા પ્રજાના પ્રશ્નોના નિરાકરણ લાવવા અને અગત્યના મુદ્દાઓ પ્રશ્નોનો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા (સંકલ્પ પત્ર)માં સમાવેશ કરવા અને જુદા- જુદા મુદ્દાઓ નોંધવા માટે કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા અને આગામી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો કોંગ્રેસના પદાધિકારીઓ, હોદ્દેદારો, જુદા-જુદા સંગઠનના હોદ્દેદારોની આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના આગેવાનો વચ્ચે ચર્ચા-વિચારણા અને પરામર્શ કરી ચૂંટણી કયા મુદ્દે લડવી જોઈએ તે અંગે ચર્ચા કરવા એક અગત્યની બેઠક મળી હતી.
આ બેઠકમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરક્ષક રાજુભાઈ પરમાર, હિરેનભાઈ બેંકર, નિમેશભાઈ શાહ સહિતના કોંગી આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું, તેમાં રાજુભાઈ પરમારે જણાવ્યું હતું કે, આગામી મહાનગરપાલિકાની ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસ પક્ષ દ્વારા સંકલ્પ પત્રની સાથે એક બ્લેકપેપર પણ જાહેર કરાશે, જેમાં ગત પાંચ વર્ષમાં સત્તાધારી ભાજપ પક્ષે ચૂંટણી વેળાએ આપેલા વચનો અને જાહેર કરેલા કામો થયા નહીં હોય તેનો ઉલ્લેખ કરાશે. કોરોના મહામારીમાં સરકારની નિષ્ફળતાઓ, ખેડૂતોના કૃષિ કાયદા સહિતના પ્રશ્નો, નોટબંધી સ્થાનિક લેવલે નળ, ગટર, રસ્તા, લાઈટ સહિતના પ્રશ્નો ભ્રષ્ટાચારનો મુદ્દો, ભરતી, કૌભાંડો, જાહેર કરાશે. રાજ્ય કક્ષાના પ્રશ્નો અને સ્થાનિક લેવલના અસરકારક પ્રશ્નો હવે ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરાશે, જેમાં ખાસ કરીને સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ રજૂ કરેલા પ્રશ્નો અને સૂચનોને ધ્યાન સમક્ષ રાખી કોંગ્રેસ પક્ષ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.
આજે મળેલી કોંગ્રેસની બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, મ્યુનિ. વિપક્ષના પૂર્વ નેતા ભરતભાઈ બુધેલિયા, જયદિપસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.