(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.૧૪
ભૂખ્યો માણસ કયું પાપ ન કરે ? આ ઉક્તિને એકદમ બંધ બેસાડતો કિસ્સો જૂનાગઢમાં ગતરાત્રી દરમિયાન બન્યો છે. આ કિસ્સામાં કેટલાક ભૂખ્યા લોકો દુકાનમાં પ્રવેશી પરોઠા-શાક બનાવી જમ્યા હતા અને કોઈપણ પ્રકારની રોકડ કે મુદ્દામાલની ચોરી કર્યા વગર પરત ચાલ્યા ગયા હતા. જૂનાગઢના વૈભવ ચોક ખાતે આવેલ ગજાનન પરોઠા હાઉસમાં ગત મધરાત્રીના સમય બાદ છથી સાત લોકો શટરના તાળા તોડી પ્રવેશ્યા હતા અને ત્યાં રહેલ સામાનમાંથી પરોઠા અને શાક બનાવી તમામએ જઠ્ઠરાગ્નિને સંતૃપ્ત કર્યો હતો. શહેરના હાર્દસમા ધમધમતા વિસ્તારમાં આવેલ આ પરોઠા હાઉસમાં આ પ્રકારની ભોજનની ચોરીથી લોકોમાં અને પોલીસ તંત્રમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. નવાઈની વાત એ છે કે, ભૂખ્યા પેેટે આવેલ આ શખ્સોએ જાતે ભોજન બનાવીને આરામથી બેસી જમ્યા અને ત્યારબાદ દરેક વસ્તુ અને વાસણો પણ હતા એ જ સ્થિતિમાં મૂકી તેમજ અંદરથી કોઈ રોકડ કે ચીજ-વસ્તુઓની ચોરી કર્યા વગર શટર ઊંચકાવી ચાલ્યા ગયા હતા. કોરોના કાળમાં જૂનાગઢમાં બનેલ આ કિસ્સો અત્યંત વિચારપ્રેરક છે કે, સમાજમાં એવા લોકો પણ છે કે, જે માંગતા શરમાય છે, પરંતુ પેટની ભૂખના લીધે તેઓ પણ કયારેય કાયદાની મર્યાદા ઓળંગીને આવા કાર્ય કરવા માટે મજબૂર બની જતા હોય છે.