અમદાવાદ, તા.૯

કોરોનાને લઈ ટ્યુશન કલાસીસ બંધ છે તેમ છતાં વિદ્યાર્થીઓને ક્લાસીસમાં બોલાવી કલાસ ચલાવતા શિક્ષકો ચેતજો. વિદ્યાર્થીઓને જીવન જોખમે ક્લાસીસમાં બોલાવી ટ્યુશન આપતા ક્લાસીસ સંચાલકો અને  શિક્ષકોની ખેર નથી. આવા ક્લાસીસ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા એક્સન પ્લાન ઘડ્યો છે. એકતરફ કોરોના કાળ ચાલી રહ્યો છે અને શાળાઓ માં શિક્ષણ કાર્ય બંધ છે તેવામાં કોરોનાની  આડમાં સરકારી શિક્ષકો ગ્રૂપ ટ્યુશન કરી રહ્યા હોવાની ફરિયાદો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને  મળી છે. સાથે જ ટયુશન ક્લાસીસ સંચાલકો પણ કલાસ શરૂ કરી વિદ્યાર્થીઓને બોલાવી રહ્યા હોવાનું ધ્યાને આવતા અધિકારીઓ દ્વારા ક્લાસીસ ઓ સામે કાર્યવાહી કરવાનો એક્શન પ્લાન ઘડ્યો છે અને ઝોન વાઈઝ અધિકારીઓની ટીમ બનાવી તપાસ શરૂ કરાઇ છે.

આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સુપરિટેડેન્ટ ભરતસિંહ ઝાલાએ મીડિયાને જણાવ્યું છે કે, હાલ શાળાઓ બંધ હોઈ ઓનલાઇન શિક્ષણ આપી અભ્યાસક્રમ ચલાવવામાં આવી રહ્યો છે પણ કોઈ વિદ્યાર્થીઓ ને શાળામાં બોલાવી શિક્ષણ આપવાની પણ હાલ મનાઈ ફરમાવવા આવી છે તેવામાં ટયુશન કલાસિસ શરૂ કરવાની કોઈ જ જાહેરાત કરાઈ નથી. તેમ છતાં જો કોઈ ક્લાસીસ સંચાલક આ પ્રકારે વિદ્યાર્થીઓને બોલાવી અભ્યાસ કરાવતો પકડાશે તો તેની સામે એપેડેમિક એકટ અન્વયે તો કાર્યવાહી કરાશે.

સાથે એ ટ્યુશન ક્લાસીસ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એસ્ટેટ વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવાની સૂચના  આપવામાં આવી છે. બીજીતરફ કેટલાક સરકારી શિક્ષકો પણ બાળકોને બોલાવી ગ્રૂપ ટ્યુશન આપી રહ્યા હોવાની ફરિયાદ પણ મળી છે. સરકારી શિક્ષકો આ પ્રકારે ટ્યુશન લઈ શકે નહીં.

જે નિયમોના વિરૂદ્ધમાં છે. ત્યારે શિક્ષકોને પણ પરિપત્ર કરી સૂચના આપી દેવામાં આવી છે. આવા શિક્ષકો ટ્યુશન કરતા પકડાશે તો તેમની સામે કાયદેસરની અને સરકારી નિયમ મુજબ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. મહત્ત્વનું છે કે, રાજ્યભરમાં ૧૫ હજારથી વધુ ખાનગી કોચિંગ કલાસ છે.

૬ મહિનાથી ક્લાસીસ શરૂ નહીં થતા કેટલાક કોચિંગ કલાસ સંચાલકોએ ક્લાસીસ શરૂ કરવાની ચીમકી આપી હતી તે મુજબ કલાસીસ શરૂ કર્યાનું શિક્ષણ વિભાગના અધિકારીઓના ધ્યાને આવ્યું છે જેને લઈને તંત્ર કાર્યવાહી કરવા હરકતમાં આવ્યું છે.