પૂરૂં નામ : રાણી લક્ષ્મીબાઈ
જન્મનું નામ : મનિકર્ણિકા
જન્મ : ૧૯ નવેમ્બર ૧૮૨૮, વારાણસી
મૃત્યુ : ૧૮ જૂન ૧૮૫૮, ગ્વાલિયર
વ્યવસાય : ચળવળકાર ઝાંસીની રાણી
જીવનસાથી : ગંગાધર રાવ
રાણી લક્ષ્મીબાઈ ઝાંસી રાજ્યની રાણી હતા. તેઓ સનઃ ૧૮૫૭ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતા.
લક્ષ્મીબાઈનો જન્મ કાશી (વારાણસી)માં તથા મૃત્યુ ગ્વાલિયરમાં થયું હતું. તેમનું નાનપણનું નામ મનિકર્ણિકા હતું પણ લાડમાં તેમને મનુ કહેતા. તેમના પિતાનું નામ મોરોપંત તાંબે હતું અને તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા. તેમની માતા ભાગીરથીબાઈ એક સુસંસ્કૃત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી. મનુ જ્યારે ચાર વર્ષની હતી ત્યારે તેમની માતાનું મૃત્યુ થયું. તેમનું પાલન પિતાએ કર્યું હતું. મનુને નાનપણમાં શાસ્ત્રોની શિક્ષાની સાથે શસ્ત્રોની શિક્ષા પણ મળી. તેમનો વિવાહ સન ૧૮૪૨માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકરની સાથે થયો, અને તે રીતે તેઓ ઝાંસીની રાણી બન્યાં. વિવાહ પછી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. સન ૧૮૫૧માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો પણ ચાર મહિનાની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું. સન ૧૮૫૩માં રાજા ગંગાધર રાવનું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યું એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી. પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું મૃત્યુ ૨૧ નવેમ્બર ૧૮૫૩માં થયું. દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું. લોર્ડ ડેલહાઉસીની રાજ્ય હડપવાની નીતિ – ખાલસા નીતિ- અનુસાર, અંગ્રેજોએ દામોદર રાવ – જે એ સમયે બાલક હતા – ને ઝાંસી રાજ્યનો ઉત્તરાધિકારી માન્ય ન કર્યો, તથા ઝાંસી રાજ્યને અંગ્રેજ રાજ્યમાં મેળવી દેવાનો નિશ્ચય કરી લીધો. ત્યારે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજ વકીલની સલાહ લીધી અને લંડનની અદાલતમાં મુકદમો દાખલ કર્યો. મુકદમામાં ખૂબ જ દલીલો થઇ પરંતુ આખરે તેને બિનલાયક ગણવામાં આવ્યો. અંગ્રેજી અધિકારીઓએ રાજ્યનો ખજાનો જપ્ત કરી લીધો અને તેમના પતિના ઋણને રાણીના સાલિયાણામાંથી કાપી લેવામાં આવ્યું. આ સાથે જ રાણીએ ઝાંસીના કિલ્લાને છોડીને ઝાંસીના રાણી મહેલમાં રહેવા જવું પડ્યું. પણ રાણી લક્ષ્મીબાઈએ કોઇ પણ કિંમત પર ઝાંસી રાજ્યની રક્ષા કરવાનો નિશ્ચય કરી લીધો હતો. આ સેનામાં મહિલાઓની ભરતી પણ કરવામાં આવી અને તેમને યુદ્ધ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ. સાધારણ જનતાએ પણ આ વિદ્રોહમાં સહકાર આપ્યો. ૧૮૫૭ના સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં પાડોસી રાજ્યો ઓરછા તથા દતિયાના રાજાઓએ ઝાંસી ઉપર આક્રમણ કર્યુ. રાણીએ સફળતાપૂર્વક તેમને હરાવ્યા. બે અઠવાડિયાની લડાઈ પછી અંગ્રેજ સેનાએ શહેર ઉપર કબ્જો કરી લીધો. પરંતુ રાણી, દામોદર રાવની સાથે અંગ્રેજોથી બચીને ભાગી જવામાં સફળ થઇ. રાણી ઝાંસીથી ભાગીને કાલપી પહોંચી અને ત્યાં તાત્યા ટોપેને મળી. ફરીથી અંગ્રેજ લશ્કરે રાણી પર હુમલો કર્યો. રાણીએ સફળતાપૂર્વક તેને નિષ્ફળ કરી દીધું. વિશાળ અંગ્રેજી સેનાને મારતી-મારતી રાણી તેમની પડકથી દૂર નીકળી ગઈ. અંગ્રેજ સૈનિક પણ રાણીનો સતત પીછો કરતા રહ્યા. છેવટે ગ્વાલિયરમાં બંને વચ્ચે ઘમાસણ લડાઈ થઈ. રાણીનો ઘોડો પણ થાકી ચૂક્યો હતો. તેથી એક નાળને પાર કરતી વખતે ઘોડો થંભી ગયો એટલામાં પાછળથી એક અંગ્રેજ સૈનિકે રાણીનો ડાબો ભાગ કાપી નાખ્યો. આ અવસ્થામાં રાણીએ એ અંગ્રેજ સૈનિકના ટુકડે ટુકડે કરી નાખ્યા અને ખુદ સ્વર્ગલોક સિધાવી ગઈ. મહારાણી લક્ષ્મીબાઈની વીરતા, ત્યાગ અને બલિદાન પર ભારતીયોને ગર્વ છે.
Recent Comments