માંગરોળ, તા.ર૪
મોસાલી-તાજેતરમાં માંગરોળ તાલુકાનાં પાલોદ ગામની સીમમાં માર્ગની બાજુમાં સુતેલા શ્રમિકો ઉપર એક હાઈવા ચાલકે હાઈવા ચઢાવી દેતાં આ અકસ્માતમાં પંદર લોકોએ જાન ગુમાવ્યા હતા. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. આ પ્રકારના અકસ્માતો ન બને એને ધ્યાનમાં લઈ પોલીસ વિભાગ તરફથી ટ્રક એસોસિએશન સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે.
આજે સવારે માંગરોળ પોલીસ મથકનાં પીએસઆઈ પરેશ એચ. નાયીએ માંગરોળ તાલુકા ટ્રક એસોસિએશનના સદસ્યોની એક બેઠક માંગરોળ પોલીસ મથક ખાતે બોલાવી હતી. આ બેઠકમાં ચંદુ વી. વસાવા, મનીષ ચૌહાણ, ચંદુ એમ. વસાવા, જશવંતસિંહ રાઠોડ, વેચાણ વસાવા, મોસાલીના સરપંચ બાબુભાઇ પાંચભાયા વગેરે હાજર રહ્યા હતા. પીએસઆઈ પરેશ એચ. નાયીએ સદસ્યોને જણાવ્યું કે, થોડા દિવસ પહેલાં આપણા તાલુકામાં જ એક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં પંદર નિર્દોષ શ્રમિક લોકોએ જાન ગુમાવ્યા છે. જેથી તમારી ટ્રકો ઉપર નશો ન કરતાં હોય એવા ચાલકોને નોકરી ઉપર લેવા, વાહનની આરસી બુક, વિમાના કાગળો અને ચાલકનું લાઇસન્સ સાથે રાખવાનાં રહેશે. પોલીસ તરફથી ટ્રકો સહિતના વાહનોની ચેકીંગની કાર્યવાહી ચાલુ જ છે. જે વાહનના ચાલક પાસે ઉપરોક્ત કાગળો સાથે ન હશે તો પોલીસ તરફથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામે જીઆઈપીસીએલ નામની કંપની કાર્યરત છે. આ કંપની લીગનાઈટમાંથી વીજળીનું ઉત્પાદન કરે છે. કંપનીની પોતાની માલિકીની ખાણો તાલુકાના ભીલવાડા ગામ નજીક આવેલી છે. જ્યાંથી હાઈવા મારફતે લીગનાઇટ વહન કરી, નાની નરોલી સુધી લાવવામાં આવે છે. આ વાહન ચોવીસ કલાક ચાલે છે.જેને ધ્યાનમાં લઈ માંગરોળનાં પીએસઆઈ પરેશ એચ. નાયીએ આ બેઠક બોલાવી સૂચનાઓ આપી હતી.
Recent Comments