બર્ડફ્લુની આશંકાથી પશુપાલકોમાં ફફડાટની લાગણી

આજુબાજુના વિસ્તારોમાં મરઘા ઉછેર કેન્દ્રમાંથી સેમ્પલ લેવાયા

જૂનાગઢ, તા.૬
જૂનાગઢ જિલ્લામાં માણાવદરના બાંટવા ખારો ડેમ પાસે પ૩ જેટલા પક્ષીઓનાં મોત થયા હતા. જ્યારે આજુબાજુના વિસ્તારોમાં તપાસ કરતા મંગળવારે સવારના સમયે વધુ બે પક્ષીઓનાં મોત નિપજ્યા છે. ઈન્ચાર્જ નાયબ પશુપાલન અધિકારી ડી.ડી. પનારાએ જણાવ્યું હતું કે, રવિવારે પ૩ જેટલા પક્ષીઓનાં મોત બાદ તંત્ર દ્વારા આજુબાજુમાં આવેલા મરઘા ઉછેર કેન્દ્રમાંથી પણ સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે. મંગળવારે સવારે વધુ બે પક્ષીઓનાં મોત થયા છે ત્યારે તેના મૃતદેહને ભોપાલની લેબોરેટરીમાં મોકલાયા છે. વધુમાં પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું કે, રિપોર્ટ આવ્યા પછી ચોક્કસ કારણ કહી શકાય. ત્યારે હાલ તો તંત્ર દ્વારા આજુબાજુના વિસ્તારોમાં મરઘા ઉછેર કેન્દ્રમાંથી સેમપલ લેવામાં આવી રહ્યા છે. પપથી વધુ પક્ષીઓના શંકાસ્પદ મોત અંગે હજુ પણ કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. હાલ તો મૃતદેહોને પરીક્ષણ માટે ભોપાલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બીજીતરફ વન વિભાગના અધિકારીઓ પણ ગોળગોળ ખોરાકી ઝેરની અસરની વાતો કરીને આ ગંભીર બાબતને ઢાંકવાના પ્રયત્નો કરી રહ્યા હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે. બર્ડફ્લુની આશંકાને પગલે પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.