અંકલેશ્વર, તા.૧
અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સ્વર્ગીય અહેમદ પટેલની યાદમાં ફ્રી મેડિકલ અને સર્જીકલ કેમ્પનું આયોજન કરાયું છે. કાર્ડિયોલોજી, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, કિડની તેમજ મૂત્રરોગ અને દાંતને લગતા રોગોની સર્જરીનો વિનામૂલ્યે લાભ અપાશે. જેમના પ્રયત્નોથી અંકલેશ્વરમાં અને એમ જોવા જઈએ તો ભરૂચ જિલ્લામાં સર્વપ્રથમ સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ શરૂ થઈ હતી એવા સ્વર્ગીય અહેમદભાઈ પટેલના સ્મરણમાં આગામી તા.૪, ૫ અને ૬ જાન્યુઆરી દરમ્યાન હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એન્જિઓગ્રાફી, એન્જિઓપ્લાસ્ટી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, સ્ત્રીઓના તમામ રોગો અને ઓપરેશન, દૂરબીન દ્વારા જનરલ સર્જરી તથા યુરોલોજી- કિડની, પ્રોસ્ટેટ અને પેશાબના રોગોની સર્જરી વિનામૂલ્યે કરવામાં આવનાર છે. સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડીઓલોજી, જનરલ મેડિસિન, દાંતના રોગો અને જનરલ સર્જરીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી આ કેમ્પ યોજાનાર છે, જેમાં અને ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને લાભ મળશે. હોસ્પિટલમાં માં યોજના અને આયુષ્માન ભારત યોજના હેઠળ હૃદય, હાડકા અને સાંધા, કિડની અને મૂત્રાશયના રોગોની સારવાર ફ્રીમાં કરવામાં આવે છે. હોસ્પિટલના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વધુમાં વધુ દર્દીઓ આ કેમ્પનો લાભ લે એવી અપીલ કરીએ છીએ. કારણ કે, આ હોસ્પિટલ સ્વર્ગીય અહેમદભાઈ પટેલની વર્ષો જૂની મહેનત અને સ્વપ્નથી સર્જાયેલી હોસ્પિટલ છે.