ચાઈનાથી કરોડો રૂપિયાનો સિરામીક, પ્લાસ્ટિક સહિતની ચીજ-વસ્તુઓ, મશીનરી ગુજરાત અને દેશમાં ઠલવાય છતાં ભાજપ સરકાર મૌન ? આ તો કેવો રાષ્ટ્રપ્રેમ ?
અમદાવાદ, તા.૨૦
ગુજરાત કે કેન્દ્રની ભાજપ સરકારની નીતિ હંમેશા ઉદ્યોગપતિઓ તરફી રહી છે. મોટા ઉદ્યોગોને અબજો રૂપિયાની સહાય આપનારી ભાજપ સરકાર નાના ઉદ્યોગોને સહાય આપવામાં ઉણી ઉતરી રહી છે. ભાજપ સરકારની આવી નીતિના કારણે રાજ્યના ૫૫ હજારથી વધુ ઉદ્યોગોનો મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે. ચાઈનાથી કરોડો રૂપિયાનો સિરામીક, પ્લાસ્ટિક, ઈલેક્ટ્રોનિક, મશીનરી સહિતનો માલ ઠલવાય છે, તેમ છતાં રાષ્ટ્રવાદના અંચણા ઓઢી ફરતા ભાજપ શાસકો મૌન કેમ ? આ તે કેવો તેમનો રાષ્ટ્રવાદ ? તેવો પ્રશ્ન કોંગ્રેસે ઊઠાવ્યો છે.
મોરબી ખાતે પત્રકાર પરિષદમાં સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ઓછી સંખ્યાના નામે ૫૨૨૩ જેટલી શાળાઓને તાળા મારી રહી છે જેમાં કચ્છ-સૌરાષ્ટ્રની ૮૨૮ જેટલી શાળા પૈકી મોરબીમાં ૭૫ શાળાઓને તાળા લાગી રહ્યા છે. રાજ્યમાં ટેટ-ટાટ, એલઆરડી, ગ્રામ સેવક, તલાટી, બિનસચિવાલય કલાર્ક, આઈ.ટી.આઈ. ઈન્સ્ટ્રક્ટર સહિતની ભરતીમાં મોટાપાયે ગેરરીતિ, પેપર ફૂંટવા, લાખો રૂપિયાની લેવડ-દેવડ ભાજપ સરકારની ઓળખ બની ગઈ છે. ભાજપ સરકારે વિવિધ ભરતી પરીક્ષાની ફોર્મ ફી પેટે બેરોજગાર યુવાનો પાસેથી ૧૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વસૂલી લીધી છે.
સૌરાષ્ટ્રના ઓળખ સમા સિરામીક, ટેક્ષટાઈલ્સ, ફાર્માસ્યુટીકલ પાર્ટસ, ઓઈલ એન્જિન, બ્રાસપાટ સહિતના ૫૫,૦૦૦ જેટલા ઉદ્યોગોને ભાજપ સરકારની નીતિને કારણે મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે. સિરામીક ઉદ્યોગ તકલીફમાં હોય ત્યારે મંત્રી ન આવે પણ પક્ષપલટુના સ્વાગતમાં મંત્રી આવે, મોટા ઉદ્યોગોને અબજો રૂપિયાની રાહત પણ નાના ઉદ્યોગોને મદદ ન કરવાની ભાજપ સરકારની નીતિ રહી છે. ચાઈનાથી કરોડો રૂપિયાનો સિરામીક, પ્લાસ્ટિક સહિતની ચીજ-વસ્તુઓ, મશીનરી ગુજરાત અને દેશમાં ઠલવાય છતાં ભાજપ સરકાર મૌન ? આ તો કેવો રાષ્ટ્રપ્રેમ ? ખેડૂત ખેતીને નુકસાન કરતા કાળાકાયદા, મહિલાઓ ઉપર થતાં અત્યાચાર, મોંઘું શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ, ખેડૂત વિરોધી-યુવા વિરોધી નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની નીતિ-રીતિ અને નિયતને કારણે દિન-પ્રતિદિન સમાજના તમામ વર્ગના લોકોને અન્યાય થાય, અત્યાચાર વધે એ રીતે શાસન ચાલી રહ્યું છે. લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે પહેલેથી જ આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન ગુજરાતના ખેડૂત-ખેતી ભોગવી રહ્યા છે. ખાનગી વિમા કંપનીઓએ ચલાવેલી લૂંટ અને પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ખેડૂત માટે ‘ખેડૂત ફસાજા’ વિમા યોજના બની ગઈ છે. અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું. સરકારે જાહેર કરી કે પંદર દિવસની અંદર સર્વે કરીને નુકસાનીનું વળતર આપીશું. આજે લગભગ બે મહિના થયા છતાં પણ એક પણ ખેડૂતના ખાતામાં એક પણ રૂપિયાનું વળતર ચૂકવાયું નથી. ભાજપ સરકારે જે ખેડૂત વિરોધી કાળાકાયદા બનાવ્યા. એના કારણે ખેડૂત માલીકમાંથી ખેત મજૂર બનવાનો, ખેડૂતને પોતાના જ ખેતરમાં કંપનીઓ જે ખેતી કરશે એની મજૂરી કરવાના દિવસો આવવાના છે. ભાજપ સરકાર હંમેશા ઉદ્યોગપતિઓની સરકાર રહી છે. બીજી બાજુ જ્યારે કોરોના-લોકડાઉનને કારણે લોકો આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. લોકોની આવક પણ ઘટી છે, નોકરીઓ છીનવાઈ ગઈ છે, ધંધા-વેપાર બંધ થયા છે, મંદીનો માહોલ છે. એવા સમયમાં વિદ્યાર્થીઓની એક સત્ર ફી માફીની માંગ જ્યારે ગુજરાતના વાલીઓ કરતા હોય, પરિવારો કરતા હોય ત્યારે સરકાર તેમની વાત સાંભળવા તૈયાર નથી અને એક પછી એક ખોટી જાહેરાતો કરી લોકોને લોલીપોપ આપી રહી છે. કોરોના મહામારીની આફતને પણ ભાજપે ભ્રષ્ટાચારનો અવસર બનાવી દીધો. આપણા પરિવારની દીકરી ઘરની બહાર જાય તો સાંજે સાજી-સુરક્ષિત ઘરે પાછી આવશે કે કેમ ? ગુંડા રાજ ચારે તરફ ચાલી રહ્યું છે. ગુંડાઓ બેફામ થયા છે, ત્યારે રાજ્યની કથળી ગયેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ડૉ.મનિષ દોશીએ આકરા પ્રહારો કર્યા હતા.
Recent Comments