(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૦
આજે ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને કારણ દર્શક નોટિસ ઈશ્યુ કરી જવાબ રજૂ કરવા આદેશ કર્યો. આ મામલે વધુ સુનાવણી ૧૫ જાન્યુઆરીએ હાઇકોર્ટમાં હાથ ધરવામાં આવશે. આજે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ૨૮ સહકારી મંડળી સાથે જોડાયેલા ખેડૂતોએ હાઈકોર્ટમાં કરેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખેડૂતો તરફથી એવી રજૂઆત કરવામાં આવી કે, વીમા કંપનીએ થયેલા નુકસાનના બદલામાં માત્ર સાડા છ ટકા જેટલી રકમ ચૂકવામાં આવી છે જે ખેડૂતોએ ચૂકવેલા પ્રીમિયમની રકમ કરતા પણ ઓછી છે. જો વેટ કરીએ સમગ્ર મામલે તો ૨૦૧૭-૧૮માં ખેડૂતોને પાક વિમાનો લાભ મળ્યો નથી. ખેડૂતોની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, પાક નિષ્ફળ જાય ત્યારે યોગ્ય સર્વેના અભાવે તેમને પાક વિમાના પૈસા મળતા નથી અને સર્વે ના થયો હોય ત્યાં સુધી તેઓ અન્ય પાક લે તો પાક વીમો ના મળે તેવી પરિસ્થિતિનો ખેડૂતો સામનો કરી રહ્યા છે લોન લેતી વખતે પાક વીમાના પ્રીમિયમના પૈસા તો કાપી લેવાય છે. પરંતુ પાક નિષ્ફળ જાય અને ચુકવણી કરવાની આવે ત્યારે ઇન્સ્યોરન્સ કંપની ઠાગાઠૈયા કરે છે. જે બાબતને ધ્યાને રાખીને હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર, ઇન્સ્યોરન્સ કંપની, કૃષિ વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ ઇશ્યુ કરી હતી.