અમદાવાદ, તા.ર૪
રાજ્યમાં કોરોના મહામારીના કેર વચ્ચે અનેક જિલ્લાઓમાં બર્ડ ફ્લૂની દહેશત જોવા મળી રહી છે ત્યારે રાજકોટમાં છ જેટલા રોજી સ્ટાર્લિંગ નામના પક્ષીઓના મૃત્યુ થતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ મૃત પક્ષીઓને બર્ડ ફ્લૂની આશંકા સેવવામાં આવી રહી છે. જેથી તેમના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયા છે. આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લા ગાર્ડનમાં સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા લોકોએ કુલ છ જેટલા પક્ષીઓનાં મોત નિપજ્યા હોવાની જાણ રાજકોટ શહેર પોલીસના કંટ્રોલરૂમમાં કરી હતી, ત્યારે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલરૂમ દ્વારા રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે પક્ષીઓના મૃતદેહ મામલે પંચનામાની કાર્યવાહી કરી હતી તો સાથે જ વેટરનિટી ડૉક્ટરની હાજરીમાં પક્ષીઓના મૃતદેહનું પીએમ કરાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે, ત્યારે સમગ્ર મામલે પક્ષીઓના પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ પક્ષીઓનાં મોત કયા કારણે થયા હતા ? તે આ સામે આવી શકશે. આ ઘટનાના કારણે સતત બીજા દિવસે પક્ષીઓનાં મોત થતાં જિલ્લા ગાર્ડન મોર્નિંગ વોક કરવા આવનાર લોકો તેમજ આસપાસના રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, ત્યારે પીએમ રિપોર્ટમાં પક્ષીઓનાં મોતનું કારણ બર્ડ ફ્લૂના કારણે થયું હોવાનું સામે આવે છે કે, પછી અન્ય કોઈ કારણ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે, ત્યારે હાલ તો જિલ્લા ગાર્ડનની આજુબાજુ રહેતા રહીશોના જીવ અદ્ધરતાલ થઈ ગયા છે.
રાજકોટના જિલ્લા ગાર્ડનમાં છ વિદેશી પક્ષીઓનાં મોત : બર્ડ ફ્લૂની આશંકાથી ફફડાટ

Recent Comments