અમદાવાદ,તા.૧૦

કોરોનાના વધતા જતાં કેસને લીધે સરકારની  અનેક મુશ્કેલીઓ વધી છે ત્યારે આ વખતે નવરાત્રીમાં ગરબાની મંજૂરી આપવી કે નહીં એ મુદ્દે તંત્ર અને સરકાર બંને મુંઝવણમાં  હોય એવું લાગે છે. જો આ અંગે શું નિર્ણય લેવાશે તે ચોક્કસ પણે કહી શકાતું નથી. બીજી તરફ આ સીઝન સાથે જોડાયેલા અનેક ધંધાર્થીઓ એક પછી એક પોતાના નિર્ણય જાહેર કરી રહ્યા છે ત્યારે રાજકોટ સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઈટસ ઓનર્સ એસોસિએશન હવે મેદાને પડયું છે. એસોસિએશને નિર્ણય કર્યો છે કે, જો સરકાર નવરાત્રીમાં ગરબા માટેની કોઈ મંજૂરી નહીં આપે તો આવનારી ચૂંટણીમાં કોઈપણ  રાજકીય પક્ષને કોઈ પ્રકારની સાઉન્ડ સિસ્ટમ નહીં મળે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આખરે નોરતા આવતા ગરબા નહીં થાય એવા એંધાણને ધ્યાને લઈને એસો.એ આ  પ્રકારનો નિર્ણય લીધો હતો. લોકડાઉનથી લઈને અત્યાર સુધી સાઉન્ડ કે સ્ટેજ લાઈટસનો એક પણ ઓર્ડર મળ્યો નથી. આ  ધંધાના અનેક  લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઈટ એસો.ના પ્રમુખ  વિરાંગ ત્રિવેદી કહે છે કે, છેલ્લા છ મહિનાથી ધંધો બંધ છે. છતાં ગોદામનું ભાડું ભરીએ છીએ. નવરાત્રી પર અમારા ધંધાનો મોટો આધાર હોય છે.  જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો અમે એમના કોઈ પક્ષના રાજકીય કાર્યક્રમ નહીં કરીએ. નવરાત્રીમાં સ્ટેડ ફિટીંગ અને લાઈટીંગનું કામ  નીકળે છે. નવ દિવસમાં આર્થિક રીતે ઉભું થઈ શકાય છે. જયારે સાઉન્ડના ધંધામાં તો માઠી અસર થઈ રહી છે. અત્યાર સુધીમાં ત્રણથી ચાર લાખ રૂપિયાનું મોટું નુકસાન થયું છે. રાજકોટ શહેરમાં ૩૦૦ જેટલા અને જિલ્લામાં ૧૦૦ જેટલા સાઉન્ડના ધંધાર્થીઓ અમારી સાથે જોડાયેલા છે. નવરાત્રીમાં સાઉન્ડ અને સ્ટેજ લાઈટસ મુખ્ય માનવામાં આવે છે. સામાન્ય દિવસોમાં અત્યારે અમારી પાસે અત્યારે બુકીંગ હોય છે. પણ આ વખતે એવું કંઈ જ નથી. નવરાત્રીમાં ગરબા ચાલુ થાય તો આ  અટકી ગયેલુ રોલિંગ ફરી શરૂ થાય.