(એજન્સી)નવી દિલ્હી, તા.૯
મહારાષ્ટ્રના પાલઘરમાં બે સાધુઓને સ્થાનિકો દ્વારા માર મારીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાની હજી શ્યાહી પણ નથી સુકાઈ ત્યારે રાજસ્થાનના કરૌલીમાં જમીન વિવાદમાં એક પુજારીને પેટ્રોલ નાખી સળગાવીને મોતને ઘાટ ઉતારવાનો કિસ્સો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. દબંગોએ જમીન પર કબજો કરવાના કેસમાં પુજારીને જીવતો સળગાવી દીધો હતો. પુજારીને ગંભીર રીતે સળગેલી હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન પુજારીએ દમ તોડ્યો હતો. આ આખો વિવાદ જમીન પર કબજાને લઈને છે. આ મામલે કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ટિ્વટ કરીને કહ્યું હતું કે, કરૌલીમાં એક મંદિરના પુજારીને જીવતા સળગાવી દેવા એ રાજસ્થાનની દુર્દશા દર્શાવે છે. રાજસ્થાનના કરૌલીના બુનકા ગામમાં મંદિરમાં ૫૦ વર્ષીય બાબૂલાલ વૈષ્ણવ પુજા કરતા હતાં. મંદિરની મોટી જમીન પર તેમનો જ કબજો હતો. પરંતુ આ જમીન પર ગામના દબંગ કૈલાસ મીણાની નજર હતી. આ જમીન પર કબજો જમાવવા આરોપી કૈલાશ મીણાએ પુજારી પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધા હતાં. પુજારીને જીવતા સળગાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ ઘટનાને અંજામ આપનારા મુખ્ય આરોપી કૈલાશ મીણાની ધરપકડ કરવામાં આવી છે. સારવાર દરમિયાન જયપુરની એમએમએસ હોસ્પિટલમાં પુજારીનું મોત નિપજતા રાજધાની જયપુર સહિત કરૌલી જીલ્લામાં પુજારીઓ અને બ્રામ્હણ સમાજ દ્વારા ઘટનાનો ભારો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બ્રાહ્મણ સમાજ, પુજારી સંઘ, બજરંગ દળ, ભાજપ કાર્યકર્તાઓએ પોલીસ અધિક્ષકને નિવેદનપત્ર આપી આરોપીની તત્કાળ ધરપકડ કરવાની માંગણી કરી છે. સાથે જ પીડિત પરિવારને ૫૦ લાખ રૂપિયા વળતર સ્વરૂપે અને એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની માંગણી કરી છે. જો યોગ્ય કાર્યવાહી ના કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે ૬ સ્પેશિયલ ટીમ બનાવી છે. મુખ્ય આરોપી કૈલાશ મીણા ઝડપાઈ ગયો છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
Recent Comments