ભિલોડા, મોડાસા, તા.૨૫
શિક્ષક ભરતી વર્ષ ૨૦૧૮માં સામાન્ય વર્ગથી ખાલી પડેલ ૧૧૬૭ જેટલી પદ માટે એસટી વર્ગના વિદ્યાર્થીઓથી ભરવાની માંગને લઈને એસટી વર્ગના વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકો છેલ્લાં ૧૮ દિવસોથી ભૂવાલી ગામના કાંકરી ડુંગરી પર વિરોધમાં બેસ્યા છે. આ મુદ્દે ગત રાત્રીથી રાજસ્થાનમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આંદોલનકારીઓએ વાહનો સળગાવાની સાથે પથ્થરમારો પણ કરવામાં આવી રહ્યો હોવાથી આંદોલને હિંસાત્મક રૂપ ધરાણ કરતા અરવલ્લી જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો હોવાથી આંદોલનના આગની જ્વાળા અરવલ્લીને દઝાડે તે પહેલાં જિલ્લા પોલીસવડા સંજય ખરાતે બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે નંબર-૮ પર શામળાજીથી રાજસ્થાન પ્રવેશતા વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસવડા સંજય ખરાતે કોઈ પણ પ્રકારની અફવાથી દૂર રહેવા અને અરવલ્લી જિલ્લાની બોર્ડર પર શાંતિપૂર્ણ માહોલ હોવાનું જણાવ્યું હતું. આંદોલનથી ને.હા.નં-૮ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. રાજસ્થાનમાં ચાલી રહેલ શિક્ષક ભરતી આંદોલનનો મામલો ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના નેશનલ હાઈવે નં-૮ પર આવેલા કાંકરી ડુંગર પર આંદોલનકારી યુવકોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનને સમર્થન અપાયું છે, ત્યારે શામળાજી નજીક આંદોલનને સમર્થનમાં આશ્રમ ચાર રસ્તા પર ઉતરી પડેલા યુવકોના ટોળાએ હાઈવે પર ચક્કાજામ કરતા તાબડતોડ પોલીસે તમામ આંદોલનકારી યુવકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. ગુરૂવારે રાત્રે રાજસ્થાનમાં ચાલી રહેલા વિરોધ વિરોધ પ્રદર્શને આક્રમક અને ઉગ્રરૂપ ધારણ કર્યું હતું. જિલ્લા પોલીસતંત્રે અગમચેતીના ભાગરૂપે શામળાજી-ઉદયપુર નેશનલ હાઈવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. ડુંગરપુર પાસે અસંખ્ય વાહનોમાં આગચંપીના બનાવો જોવા મળ્યા છે. જેના કારણે શામળાજી પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. ઉદયપુર જતા વાહનો ભિલોડાથી ડાયવર્ટ કરાયા છે અને ભિલોડાથી અંબાજી, આબુરોડ ડાયવર્ટ કર્યા છે. શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે ૮ બંધ કરવામાં આવતા અનેક લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. ડુંગરપુર પાસે આંદોલનકારીઓએ અસંખ્ય ગાડીઓ સળગાવી છે.