અમદાવાદ, તા.૧પ
રાજ્યમાં કોરોના તેનો કાળો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા લોકડાઉનના ચુસ્ત અમલ માટે કપરા સંજોગોમાં પણ રાજ્યના પોલીસ જવાનો છેલ્લા દોઢ માસથી સતત ખંત અને મહેનતથી ઉત્તમ ફરજ બજાવી રહ્યા છે ત્યારે પોલીસ જવાનોને સ્ટ્રેસ ન થાય તે માટે સમયાંતરે ફેરબદલી કરવાની સાથે સક્રિય ફરજમાં જરૂરી આરામ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં તકેદારી રાખવી જરૂરી હોવાથી આ વિસ્તારોમાં અગાઉની જેમ જ લોકડાઉનનો ચુસ્ત અમલ કરાશે એમ ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું છે. રાજ્યમાં લોકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસોમાં રાજ્યના નાગરિકોને કોરોનાના સંક્રમણમાંથી બચાવવા માટે તમામ જગ્યાએ યોગ્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી દેવાઈ છે. લોકહિત માટે પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે નાગરિકો પોતે તકેદારી રાખે અન્ય પાસે પણ તકેદારી રખાવે તે જરૂરી એમ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે ઉમેર્યુ કે, આવશ્યક ચીજ-વસ્તુઓના વેચાણમાં પણ દુકાનદારો અને નાગરિકો યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને તંત્રને પૂરતો સહયોગ આપે તે જરૂરી છે. રાજ્યના રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સવિશેષ તકેદારી રાખવી જરૂરી હોય આ વિસ્તારમાં અગાઉની જેમ જ લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાશે અને તે માટે પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. તેમણે ઉમેર્યું કે પરપ્રાંતિય શ્રમિકોને માદરે વતન મોકલવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા દૈનિક ધોરણે વિશેષ ટ્રેનો દ્વારા થઈ રહી છે અને મોટી સંખ્યામાં શ્રમિકો તેમના વતનમાં પહોંચી પણ ગયા છે. જે લોકોનું રજીસ્ટ્રેશન થઇ ગયું છે તેવા શ્રમિકોને વહેલામાં વહેલી તકે પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવાઇ છે ત્યારે, પરપ્રાંતિય શ્રમિકોએ ધીરજ રાખવાની અત્યંત આવશ્યકતા છે. ગઈકાલે સુરત, બોટાદ અને ભરૂચ ખાતે અમુક જગ્યાએ શ્રમિકોએ ધીરજ ગુમાવીને અવ્યવસ્થા સર્જી હતી. આવા શ્રમિકો સંયમ રાખીને વહીવટીતંત્રને સહયોગ આપે તે જરૂરી છે. ઘણી જગ્યાએ હજુ પણ શ્રમિકો પગપાળા તેમના વતન જતા હોય એવું ધ્યાને આવ્યું છે ત્યારે સ્થાનિક વહીવટી તંત્રને સૂચના આપી દેવાઇ છે. તેમણે સ્થાનિક શેલ્ટરહોમમાં રાખીને બસ કે ટ્રેન દ્વારા મોકલવાની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે. પોલીસ વડાએ ઉમેર્યું કે દેશ કોરોનાની મહામારી સામે સંવેદનશીલતા સાથે લડી રહ્યો છે ત્યારે કોમી વૈમનસ્ય ફેલાય તેવા બનાવો કે અફવાઓ ફેલાવવા જેવા બનાવોને અતિ ગંભીરતાથી લઈને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તા.૭મી મેના રોજ પશ્ચિમ કચ્છના ભુજ શહેરમાં એક વ્યક્તિ દ્વારા રાત્રિના સમયે માઇક દ્વારા કોમી વૈમનસ્ય ઉભું થાય તેવા ભડકાઉ ઉચ્ચારણો કર્યા હતા. આ સંદર્ભે તે વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરીને પાસા હેઠળ સુરત જેલના હવાલે મોકલી દેવામાં આવ્યો છે. એ જ રીતે પશ્ચિમ કચ્છના નિરોણા પોલીસ સ્ટેશનમાં અને ભુજ શહેરના પોલીસ સ્ટેશનમાં સોશ્યલ મિડિયા દ્વારા કોમી લાગણીઓ ઉશ્કેરાય તેવી પોસ્ટ મૂકવાનો એક ગુનો નોંધાયો છે. જ્યારે મહેસાણા જિલ્લામાં પણ અગાઉ સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મૂકવાના ગુનામાં આરોપીની પાસા હેઠળ ધરપકડ કરાઈ છે. એટલે લોકોને આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન કરવા અપીલ પણ કરાઈ છે. લૉકડાઉનના ચુસ્ત અમલ દરમિયાન અન્ય રાજ્યોમાં જવા માગતા લોકો માટે તંત્ર તરફથી જરૂરી પાસ અને મંજૂરી આપવામાં આવે છે. તેનું ફરજ ઉપરના પોલીસ જવાનો દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવે છે. જેમાં નકલી પાસ બનાવી આપવાના બે બનાવો પકડી પાડવામાં આવ્યા છે. તેનો ઉલ્લેખ કરતા ઝાએ જણાવ્યું કે, રાજકોટ શહેરમાં કલેકટર કચેરીના બોગસ સિક્કા મારી નકલી પાસ વેચનાર ૧૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સુરતના ઉમરા પોલીસ મથક વિસ્તારમાં ઝારખંડના શ્રમિકોને બસના પાસના આધારે તેમના વતન મોકલવાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવી ફોજદારી ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરજ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ જરૂરી સારવાર મેળવી વધુ ૧૦ પોલીસ કર્મીઓ સંક્રમણથી મુક્ત થયા છે અને ૧૧૦ પોલીસ કર્મીઓ હોમ ક્વોરન્ટાઈનનો સમયગાળો પૂરો કરીને તેમની ફરજ ઉપર પુનઃ હાજર થયા છે.
રાજ્યના રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં અગાઉની જેમ લોકડાઉનનો કડક અમલ કરાશે

Recent Comments