રાજસ્થાન, ઓડિસા સહિતના રાજ્યોમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લદાયા બાદ લેવાયો નિર્ણય
રાત્રે ૮થી ૧૦ ફટાકડા ફોડી શકાશે : ૧૦ વાગ્યા પછી સુપ્રીમની ગાઈડલાઈન લાગુ થશે
(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૭
રાજ્યમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ દિવાળીમાં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ મૂકવા અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે આજે સરકાર દ્વારા રાજ્યમાં જાહેરમાં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિવાળીની ઉજવણી થઈ શકે તેને ધ્યાનમાં લેતા માત્ર રાત્રે બે કલાક માટે જ ફટાકડાં ફોડવા છૂટ અપાઈ છે. ગુજરાતમાં ફટાકડા મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોરોના કહેરમાં પાંચ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકાયા બાદ ગુજરાતમાં દિવાળી ટાણે ફટાકડા ફોડી શકાશે કે નહીં, તે એક મોટો પ્રશ્ન બન્યો હતો. ગાંધીનગરથી ગુજરાતમાં ફટાકડા મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલ મળ્યા છે. જેમાં રાત્રે ૮થી ૧૦ એમ બે કલાક માટે ફટાકડાં ફોડવાની છૂટ આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા સરકાર તરફથી સૂચના પણ આપવામાં આવી છે. સરકારે પોતાના જાહેરનામામાં ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કલમ ૧૪૪ હેઠળ આદેશ બહાર પાડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. ફટાકડાની ગેરકાયદે આયાત, સંગ્રહ, વેચાણ સામે રોક લગાવી છે. કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધાત્મક આદેશ લગાવવામાં આવ્યો છે. રાત્રે ૧૦ વાગ્યા પછી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો અમલ કરવામાં આવશે.
દિવાળી જ નહીં, અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા સંબંધમાં જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ વિદેશી ફટાકડાની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નરને પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવા જણાવાયું છે. ફટાકડાના ગેરકાયદેસર વેચાણ સંગ્રહખોરી સામે પગલા લેવા અને કાર્યવાહી કરવા જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોના મતે ફટાકડાનો ધુમાડો માત્ર કોરોનાના દર્દીઓ માટે જ નહીં, કોરોનાથી સાજા થયેલા લોકો માટે પણ જોખમી બની શકે છે. કોરોનાના સંક્રમણની સીધી અસ૨ ફેફસાં પ૨ થઈ હોય છે એટલે ફેફસાં પ્રમાણમાં નબળા પડયા હોવાથી ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. ડિસ્ચાર્જ થયા બાદ પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યા સર્જાતી હોવાનું જોવા મળે છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા નિષ્ણાંતો આ દિવાળીમાં ફટાકડાં ન ફોડવાની સલાહ આપી રહ્યા છે.
Recent Comments